શું ખાવુ અને શું ન ખાવું તે અંગે રાજકીય ડીબેટને હાલ પુરતો ભલે વિરામ લાગ્યો હોય પરંતુ યોગી આદિત્યનાથે ખેડૂતોને હવે ખેતરમાં કયો પાક કરવો તે અંગેની સલાહ આપી છે. મુખ્યમંત્રી મહોદયની સલાહથી કોઇ વિવાદ ન હોઇ શકે પરંતુ શેરડીની ખેતી ન કરવા માટે યોગી આદિત્યનાથે ખેડૂતો સમક્ષ જે કારણ ધર્યું છે તેનાથી ઘણા સવાલો ઉભા થવા જ રહ્યા.
કેસરીયા કપડામાં સજ્જ યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશમાં હરિતક્રાંતિ માટે નવો ફોરમ્યુલા તૈયાર કર્યો છે. ખેડૂતોને ગરીબીની કેદમાંથી મુક્ત કરવાનો એક એવો ઉપાય જે સમાજવાદી વિચારધારા ધરાવતા અખિલેશ યાદવ પાસે પણ કદાચ ન હતો.
સીએમ યોગીએ જણાવ્યુ હતુ કે શેરડી ઓછી વાવો કારણ કે લોકોને ડાયાબિટીસ થઇ રહી છે. ઇન્ડિયન સુગર મીલ એસોસિએશન એટલે કે ઇસ્માએ જાહેર કરેલા આંકડા પ્રમાણે વર્ષ 2017-2018 ભારતમાં કુલ 2 કરોડ 90 લાખ ટન શેરડીનું ઉત્પાદન થયું.
જેમાં 1 કરોડ 5 લાખ ટન શેરડીના ઉત્પાદન સાથે ઉત્તરપ્રદેશ પ્રથમ સ્થાને રહ્યું. તો 1 કરોડ 1 લાખ ટનના ઉત્પાદન સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે અને 30 લાખ ટનના ઉત્પાદન સાથે કર્ણાટક ત્રીજા સ્થાને રહ્યું. આ ત્રણેય રાજ્યોની આબોહવા અને જમીન શેરડીના પાકને ઘણી અનુકુળ આવે છે પરંતુ મુશ્કેલીએ છે કે ઉત્તરપ્રદેશમાં શેરડીના ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળતા.
ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પહેલા ભાજપે શેરડીના પુરતા ભાવ આપવાનું વચન આપ્યું હતું પરંતુ આ વચન પૂર્ણ રીતે અમલમાં આવ્યું નથી. ત્યારે શેરડી ઓછી વાવવાની યોગી આદિત્યનાથની શિખામણથી અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.