25 માર્ચે બીજી વાર સીએમ પદના શપથ લેશે યોગી આદિત્યનાથ
લખનઉમાં યોજાશે ભવ્ય શપથ ગ્રહણ સમારોહ
પીએમ મોદી,અમિત શાહ સહિતના નેતાઓ રહેશે હાજર
યોગી સરકારના બીજા કાર્યકાળ માટે શપથ ગ્રહણ સમારોહ 25 માર્ચે યોજાશે. આ દિવસે યોગી આદિત્યનાથ 70 હજારથી વધુ લોકોની હાજરીમાં સતત બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. સાંજે ૪ વાગ્યાથી રાજધાનીના વિશાળ ઇકાના સ્ટેડિયમમાં યોજાનારા ભવ્ય સમારોહમાં યોગી અનેક મંત્રીઓ સાથે શપથ લેશે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વિશિષ્ટ અતિથિઓ ઉપસ્થિત રહેશે.
37 વર્ષની જુની માન્યતા તોડીને સત્તામાં પરત ફરી યોગી સરકાર
રાજ્યમાં સતત બીજી વખત યોગી સરકાર સત્તા પર આવવાની સાથે જ ઈતિહાસ પણ બની ગયો છે અને અનેક દંતકથાઓ પણ તૂટી ગઈ છે. 37 વર્ષ બાદ યુપીમાં સરકાર સત્તામાં પરત ફરી છે. સાથે જ સીએમ તરીકે નોએડા યાત્રાની માન્યતાને પણ યોગી આદિત્યનાથે તોડી નાખી છે. હવે નવી સરકારની ભવ્ય શપથવિધિ નક્કી થઈ ગઈ છે. આ કાર્યક્રમમાં રાજ્યના દરેક વિધાનસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ તેમજ દેશભરના તમામ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
પીએમ મોદી,અમિત શાહ સહિતની હસ્તીઓ હાજર રહેશે
સૂત્રોના જણાવ્યા અનુસાર શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા અને કેટલાય કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, સંઘના વરિષ્ઠ અને ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા સામેલ થશે. યોગીએ પાર્ટીના નેતૃત્વ સાથે મંત્રીમંડળની પ્રકૃતિ અંગે ચર્ચા કરી છે. યુપીમાં સરકારની રચનાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુબર દાસને નિરીક્ષક અને સહ-નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ગોરખપુરથી લખનઉ પહોંચશે ત્યારે શપથ લેનારા મંત્રીઓની યાદીને આખરી ઓપ આપવામાં આવશે.
મંત્રીમંડળમાં મહિલાઓ અને યુવાનો પર ખાસ ધ્યાન
યોગી કેબિનેટ પર ભાજપના મિશન-2024ની છાપ સ્પષ્ટ દેખાશે. પાર્ટી આ ચહેરાઓ દ્વારા સામાજિક સમીકરણો તેમજ પ્રાદેશિક સમીકરણો બનાવશે. આ વખતે યુવાનો અને મહિલાઓ ખાસ ધ્યાન આકર્ષિત કરવા જઈ રહ્યા છે. પાર્ટીનું માનવું છે કે ભાજપની સફળતામાં યુવાનો અને મહિલાઓનું વિશેષ મહત્વ છે. પાર્ટી છબીને લઈને પણ ખૂબ સાવધ છે. આ સાથે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સંતુલન બનાવવાનો પણ પ્રયાસ થશે. સીએમ યોગી લખનઉ પહોંચશે ત્યારે મંત્રીઓની યાદીને આખરી ઓપ આપવામાં આવશે.