હૈદરાબાદમાં થવા જઈ રહેલા મહાનગરપાલિકાના ઈલેક્શનમાં ભાજપે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે.
ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાના હૈદરાબાદના પ્રવાસ પછી હવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના મલકાઝગિરીમાં રોડ શો કર્યો હતો.
"હૈદરાબાદને ભાગ્યનગર બનાવીને વિકાસની નવી ઊંચાઈઓ સર કરીશું"
યોગીએ ભવ્ય રોડ શો કરીને કહ્યું હતું કે હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે એક પરિવારને લૂંટફાટ કરવાની આઝાદી આપવાની છે કે પછી હૈદરાબાદને ભાગ્યનગર બનાવીને વિકાસની નવી ઊંચાઈઓ સર કરવી છે.
"AIMIM ભાજપના કાર્યકરોનું ઉત્પીડન કરે છે"
તેમણે કહ્યું કે હું જાણું છું કે અહીંની સરકાર એક તરફ લોકોને લૂંટી રહી છે જ્યારે બીજી બાજુ AIMIM ભાજપના કાર્યકરોનું ઉત્પીડન કરી રહી છે. તેમણે કહ્યું કે આ લોકો સામે લડવા માટે સૌએ સાથે મળીને ચાલવું પડશે. આ માટે હું શ્રી રામની જન્મભૂમિથી પોતે અહીંયા આવ્યો છું.
ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાના ચૂંટણી પ્રચાર પછી યોગી આદિત્યનાથ ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યા છે. રાજ્યમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ચૂંટણી પ્રચાર કરવા જઈ રહ્યા છે. ભાજપે 150 સીટોના ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવી દીધું છે. અહીં પહેલેથી જ તેજસ્વી સૂર્યા પ્રચારની કમાન સાંભળી રહ્યા છે.
વિધાનસભાની તૈયારી કરી રહ્યું છે ભાજપ
હૈદરાબાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં TRS, કોંગ્રેસ, AIMIM અને BJP એમ ચાર મોટા પક્ષો ભાગ લઈ રહ્યા છે, પરંતુ અસલી લડત માત્ર ભાજપ અને AIMIM વચ્ચે છે.
હકીકતમાં ભાજપને લાગે છે કે કર્ણાટક પછી તેલંગાણા એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં તે પ્રવેશ મેળવી શકે છે. અહીં કોંગ્રેસ નબળી છે, લોકો ચંદ્રબાબુ નાયડુથી નારાજ છે, TRS મજબૂત છે, પરંતુ ઓવૈસીના ગઢમાં જો ભાજપ જીતવામાં સફળ થાય તો વિધાનસભાની ચૂંટણીઓ માટે તેની શક્તિ વધી જાય.
આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપની તાકાત ખરેખર વિધાનસભાની ચૂંટણીની આગામી તૈયારી છે.