ઉત્તરપ્રદેશ સરકારે જાહેર સંપત્તિને નુકસાન કરનારા આ 57 ઉપદ્રવીઓની તસવીર, તેમના નામ અને સરનામાં સાથે લખનઉમાં પોસ્ટર પર ચોંટાડ્યા છે. જેમની પાસેથી 1 કરોડ 55 લાખની વસૂલાત કરવાનું આ પ્રથમ પગલું છે.
19 ડિસેમ્બરે લખનઉમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી
અનેક વાહનોમાં આગચંપી થઈ હતી અને જાહેર સંપત્તિ પર પથ્થરમારો થયો હતો
હોર્ડિંગ્સમાં માત્ર તોફાનીઓની તસવીર અને નામ જ નહીં, પરંતુ તેમની પાસેથી નુકસાનની કેટલી વસૂલાત કરવાની છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપદ્રવીઓને નુકસાન ભરપાઈ કરવાની નોટિસ પણ ફટકારવામાં આવી છે.
દેશમાં સીએએ (CAA) લાગુ થયા બાદ 19 ડિસેમ્બરે લખનઉમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. તે દિવસે જુમાની નમાજ બાદ લખનઉના ઠાકુરગંજ, હજરત ગંજ, કેસરબાગ અને હસનગંજમાં તોડફોડ થઈ હતી. અનેક વાહનોમાં આગચંપી થઈ હતી અને જાહેર સંપત્તિ પર પથ્થરમારો થયો હતો.
ઝનૂની ટોળાઓએ જાહેર સંપત્તિને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડયું હતું. આપણે વિસ્તાર, નુકસાનીના આંકડા અને તોફાનીઓની સંખ્યા પર એક નજર નાખીએ તો હજરતગંજમાં 28 દેખાવકારોએ 64 લાખ 37 હજાર 637 રૂપિયાનું નુકસાન કર્યું હતું. હસનગંજમાં 13 ઉપદ્રવીઓએ 21 લાખ 76 હજાર રૂપિયાનું નુકસાન, કેસરબાગમાં 6 તોફાનીઓ એક લાખ 75 હજારનું નુકસાન કર્યું હતું. તો ઠાકુરગંજમાં 10 દેખાવકારોએ 7 લાખ 39 હજાર રૂપિયાનું નુકસાન કર્યું હતું.
ઉત્તરપ્રદેશ સરકારે જાહેરમાં ઉપદ્રવીઓની તસવીરો સાથેનું પોસ્ટર લગાવીને નુકસાન વસૂલી માટે નોટિસો ફટકારી દીધી છે. જેનાથી ઉત્તરપ્રદેશમાં નવેસરથી યોગી સરકારના આ ફરમાન પર રાજકીય ચર્ચા છેડાઈ ગઈ છે. કોર્ટના ચુકાદા પહેલા જ સરકારે કરેલા વસૂલીના ફરમાન પર વિપક્ષો સવાલ કરી રહ્યા છે કે, શું કોર્ટથી પણ ઉપર છે સરકાર? ચર્ચા એટલા માટે છેડાઈ છે કે, કોઈ ઉપદ્રવી પાસેથી નુકસાન વસૂલી માટે પહેલા તેના પર આરોપ સિદ્ધ કરવો પડે છે. આ માટે કેટલાક નિયમો છે.
આ માટે ઊભા થયા સવાલ
1984થી સાર્વજનિક સંપત્તિના નુકસાનને અટકાવવા માટે નિયમ બનાવવામાં આવ્યા છે
જે તે ઉપદ્રવીઓને દોષી સાબિત કરવા માટે નક્કર પુરાવા દર્શાવવા જરૂરી છે
નુકસાનનું આકલન કરવા માટે નિવૃત્ત જજના વડપણ હેઠળ કમિટીની રચના કરવાની હોય છે
નુકસાનીનું ચોક્કસ આકલન કરી શકે તેવા તજજ્ઞોને આવી કમિટીમાં સમાવેશ કરવો પડે છે
કમિટી નુકસાનનું આકલન કરે પછી તે રિપોર્ટ સરકારને સોંપે છે
સરકારની અધિકૃત ઓથોરિટી આરોપીઓને નુકસાનીની નોટિસ આપે છે
પરંતુ ઉ.પ્ર સરકારે આવી કોઈ કમિટી રચી નથી
દોષિત સાબિત કર્યા વગર જાહેરમાં કોઈ વ્યક્તિની તસવીર લગાવી શકાતી નથી
આ નિયમો જોતાં ઉત્તરપ્રદેશ સરકારને આરોપીઓ પાસેથી નુકસાન વસૂલ કરવાનો રસ્તો સરળ નહીં હોય. આપને જણાવી દઈએ કે, જાહેર સંપત્તિના નુકસાન બદલ 6 મહિનાથી લઈને 5 વર્ષ સુધી જેલની સજાની જોગવાઈ છે. પરંતું આજે દેશની અનેક અદાલતોમાં, જાહેર સંપત્તિને નુકસાનના 14 હજારથી વધારે કેસ પેન્ડિંગ છે.
આવા મામલાઓમાં માત્ર 30 ટકા કેસોમાં જ સજા કરી શકાઈ છે. કેમકે આપણી સિસ્ટમમાં ઈચ્છાશક્તિનો અભાવ અને રમખાણોના કેસમાં આરોપીઓને દોષિત સાબિત કરવાની વ્યવસ્થા નબળી છે. ત્યારે ઉત્તરપ્રદેશ સરકારનો આ પ્રયોગ કેટલો સફળ થશે તે પણ એક સવાલ છે.