ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલી-બજરંગબલી વિવાદિત નિવેદન પર પોતાનો જવાબ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યો છે. મુખ્યમંત્રી યોગીએ ઈલેક્શન કમિશનમાં પોતાનો જવાબ રજૂ કર્યો છે. ચૂંટણી પંચને મોકલવામાં આવેલા જવાબમાં સીએમ યોગીએ કહ્યું કે, ભવિષ્યમાં હવે આ પ્રકારના નિવેદનો આપવાથી દૂર રહીશ.
આવા કોઈ પણ વિવાદિત નિવેદન આપીશ નહીં તેમ સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું છે. જો કે હવે ચૂંટણીપંચ નક્કી કરશે કે યોગીના આ જવાબથી તેઓ સંતુષ્ટ છે કે નહીં. ઉલ્લેખનીય છે કે, સીએમ યોગીએ 10 એપ્રિલના રોજ મેરઠમાં એક રેલીને સંબોધન દરમિયાન સપા-બસપા પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, જો કોંગ્રેસ-સપા-બસપાને અલી પર વિશ્વાસ છે તો અમને પણ બજરંગબલી પર વિશ્વાસ છે.
જો કે સીએમ યોગીના આ નિવેદન બાદ રાજકીય વાતાવરણ પણ ગરમાયુ હતું અને બાદમાં યૂપીમાં સપાના ઉમેદવાર આઝમખાને પણ બજરંગ અલીનું વિવાદિત નિવેદન આપ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, અગાઉ યોગીએ 'મોદી કી સેના'નું વિવાદિત નિવેદન પણ આપ્યું હતું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચૂંટણી આયોગને જણાવ્યું કે અલી-બજરંગબલીવાળા નિવેદન પર તેમની મહેચ્છા ખોટી નહોતી. સીએમ યોગીએ કહ્યું કે આયોગની આપત્તિ તેમજ નોટિસને ધ્યાનમાં રાખી આયોગને વિશ્વાસ આપું છું કે ભવિષ્યમાં ધ્યાન રાખીશ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આ નિવેદન પર હંગામો જોવા મળ્યો હતો, કોંગ્રેસ-એસપી અને બીએસપીએ આ નિવેદનની ટીકા કરી હતી.
લોકસભા ચૂંટણી 2019માં અલી-બજરંગબલી વિવાદની શરૂઆત મેરઠમાં 10 એપ્રિલથી જરૂરથી થઇ, પરંતુ આ વિવાદનું બેકગ્રાઉન્ડ યૂપીના દેવબંદમાં 7 એપ્રિલે માયાવતી-અખિલેશ અને અજિતસિંહની રેલી સાથે જોડાયેલ છે.