અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ બાદ ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે મીડિયા સાથે વાતચીત કરીને રામ મંદિર, કોરોના અને અયોધ્યામાં મસ્જિદના નિર્માણ જેવા મુદ્દાઓ પર પોતાની વાત કરી હતી. મસ્જિદના શિલાન્યાસ પર CM યોગીએ કહ્યું હતું કે મને કોઈ બોલાવશે પણ નહીં, અને હું ક્યાંય જઈશ પણ નહીં.
CM યોગીને સવાલ પૂછવામાં આવ્યો કે વિરોધીઓ કહી રહ્યા છે કે તમે બધા ધર્મના લોકોને રામ મંદિરના ભૂમિપૂજન માટે આમંત્રણ આપ્યું અને બધા આવ્યા. પરંતુ આગામી દિવસોમાં જ્યારે અયોધ્યામાં મસ્જિદનું નિર્માણ શરૂ થશે, ત્યારે એમ કહેવામાં આવી રહ્યું છે કે CM યોગી ત્યાં નહીં જાય.
આ અંગે યોગી આદિત્યનાથે કહ્યું કે મારે જે કામ છે તે કામ હું કરીશ અને હું હંમેશાં મારા કાર્યને ફરજ અને ધર્મ તરીકે માનું છું. હું જાણું છું કે મને કોઈ બોલાવશે નહીં તેથી હું ત્યાં જઈશ પણ નહીં.
અયોધ્યામાં વક્ફ બોર્ડને મસ્જિદ માટે જમીન ફાળવી દેવાઈ છે
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને 5 એકર જમીન આપવાનો નિર્ણય કર્યો હતો. 5 ફેબ્રુઆરીએ યુપી સરકારે અયોધ્યા જિલ્લા મુખ્યાલયથી 1 કિલોમીટર દૂર, ધન્નીપુર તહસીલના સોહવાલ ગામના રૌહાની પોલીસ સ્ટેશનથી આશરે 200 મીટર દૂર, મસ્જિદ માટે 5 એકર જમીન ફાળવી છે. અહીં મસ્જિદનું નિર્માણ થશે.
યુપીના CM યોગી આદિત્યનાથે પણ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના 'રામ સબકે હૈ'ના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે રામ બધાના છે, અમે આ પહેલા જ કહી ચૂક્યા છે. આ સદબુદ્ધિ તેમને પહેલા આવી જોઈતી હતી.
અયોધ્યામાં વિકાસના કામો અંગે CM યોગીએ કહ્યું કે આજે અયોધ્યામાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે અને લોકોને રોજગાર આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી તરીકે હું ઘણી વાર અયોધ્યા આવી ચૂક્યો છું. અગાઉ મુખ્યમંત્રીઓ અહીં આવવામાં સંકોચ અનુભવતા હતા. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે લોકશાહીમાં વિકાસના મુદ્દાઓ તેમ જ અન્ય મુદ્દાઓ પર લોકલાગણીનું સન્માન કરવું જરૂરી છે.
ભાજપના રાષ્ટ્રીય રાષ્ટ્રીય અધ્યક્ષ પણ કાર્યક્રમમાં ગેરહાજર
યુપીના CMએ કહ્યું કે ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કોરોનાને કારણે મોટું કરાયું નથી, તેથી કોઈ રાજકીય પક્ષના વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા નથી. CMએ કાર્યક્રમ અંગે સવાલો ઉઠાવનારાઓને પણ જવાબ આપ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે આયોજક રામ મંદિરનો ટ્રસ્ટ જ છે પરંતુ સરકાર તરીકે અમે સહકાર આપી રહ્યા હતા.
તેમણે કહ્યું કે દરેક સમુદાયના લોકો આ કાર્યક્રમમાં આવવા ઇચ્છતા હતા પરંતુ કોરોનાને કારણે કાર્યક્રમ મર્યાદિત રાખવામાં આવ્યો હતો. યોગીએ કહ્યું કે માત્ર કોંગ્રેસની ગેરહાજરી નહીં, ભાજપના પણ કોઈ નેતાએ આ કાર્યક્રમમાં ભાગ લીધો નથી. ન તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કે ના પ્રદેશ પ્રમુખ.