ગુજરાતના જામનગરમાં ઓમિક્રોન વેરિઅન્ટનો એક કેસ પોઝીટીવ મળતા,તેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા.24 જ કલાકમાં વધુ બે કેસ પોઝીટીવ મળતા જામનગરનું આરોગ્ય તંત્ર બેબાકળું.
જામનગરમાં ઓમિક્રોન વેરિઅન્ટથી 'જામગરી'
બે કેસ પોઝીટિવ આવતા,દર્દીઓ આઈસોલેશનમાં
ગાંધીનગર મોકલાયા રીપોર્ટ; ઓમિક્રોન છે કે કેમ ?
ગુજરાતમાં ઓમિક્રોન વેરિઅન્ટનો એક કેસ પોઝીટીવ મળતા,તેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા ને રાજ્યના મુખ્ય મંત્રીએ તાકીદની બેઠક બોલાવી ઉચ્ચસ્તરીય સમિક્ષા કરી હતી. આ ઘટનાના 24 જ કલાકમાં વધુ બે કેસ પોઝીટીવ મળતા જામનગરનું આરોગ્ય તંત્ર બેબાકળું બની ગયું છે. એક પોઝીટીવ કેસ બાદ,દર્દીના સંપર્કમાં આવેલા કેટલાક લોકોના ટેસ્ટીંગ હાથ ધરાયા હતા.આ દરમિયાન વધુ બે કેસ પોઝીટીવ મળ્યા છે. પોઝીટીવ આવેલા બંને જે વેરિઅન્ટથી સંક્રમિત થયા છે તે ઓમિક્રોન છે કે કેમ ? એ જાણવા માટે બંનેના સેમ્પલ ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલાયા છે. અત્યારે બંને દર્દીઓને જામનગરની હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
બે-ત્રણ દિવસ પહેલા જ ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા એક વૃદ્ધમાં ઓમિક્રોન વેરિઅન્ટના શંકાસ્પદ લક્ષણો દર્શાયા હતા. આ બાદ તેઓને જામનગરની ડેન્ટર કોલેજમાં ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કર્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા તેના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરી ટેસ્ટ કરવામાં આવતા, બે લોકોના કોરોના પોઝિટિવ રિપોર્ટ મળી આવ્યા છે. જામનગરમાં કેસ મળી આવવાની ઘટનાથી ગુજરાતમાં ફફડાટ વ્યાપ્યો છે. દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના 12 કેસ ,તો મહારાષ્ટ્રમાં 8 કેસ નોંધાતા હવે મહારાષ્ટ્ર સરકારની પણ ચિંતામાં વધારો થયો છે.