યસ બેન્કનો બેલઆઉટ પ્લાન લગભગ તૈયાર થઇ ગયો છે અને યસ બેન્કને ઉગારવાની આ યોજના મંજૂરી અર્થે RBI મોદી કેબિનેટને આજકાલમાં જ મોકલશે. RBIના બેલઆઉટ પ્લાનના ડ્રાફ્ટ અનુસાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા યસ બેન્કમાં 49 ટકા સુધીનો હિસ્સો ટેકઓવર કરશે અને SBI રૂપિયા 5000 થી 7000 કરોડ સુધીનું રોકાણ કરી શકે છે.
જ્યારે FII અને PE ફંડ રૂપિયા 500 થી 700 કરોડનું રોકાણ કરી શકે છે. ICICI પ્રૂડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ તરફથી રૂપિયા 700 થી 1000 કરોડ સુધીનું રોકાણ આવી શકે છે. HDFC ગ્રૂપ રૂપિયા 500 થી 700 કરોડ યસ બેન્કમાં લગાવી શકે છે, જ્યારે રાકેશ ઝુનઝુનવાલા રૂપિયા 350 થી 700 કરોડ અને આર. દમાની રૂપિયા 350 થી 500 કરોડનું રોકાણ કરી શકે છે.
અહેવાલ અનુસાર યસ બેન્ક પર RBI દ્વારા જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તે સંપૂર્ણપણે શનિવાર સુધીમાં હટાવી લેવામાં આવશે. આ ઉપરાંત હવે યસ બેન્કના ગ્રાહકો બીજી બેન્કના ખાતાથી લોનના EMI અને ક્રેડિટકાર્ડની બાકી રકમનું પેમેન્ટ કરી શકશે. યસ બેન્ક માટે બોર્ડની રચના કરાશે, જેમાં CEO, MD, નોન એક્ઝિક્યુટિવ ચેરમેન-ડાયરેક્ટર રહેશે.
યસ બેંકના પૂર્વ મેનેજીંગ ડાયરેક્ટર રાણા કપૂરની ધરપકડ કરવામાં આવી છે
ED એ શનિવારે રાતે 3 વાગે રાણા કપૂરની ધરપકડ કરી હતી. રાણા કપૂર પર આરોપ છે કે તેણે ઘણી શેલ કંપનીઓનું ગઠન કર્યું છે, જેમાં લાંચથી મળેલી રકમનું સેટિંગ કરી શકાય. ED પાસે આ વાતના પૂરાવા છે કે DHFL ને રાણા કપૂરની મદદથી લોન આપવામાં આવી, જ્યારે DHFL તેની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહી હતી.