Yes Bankનું આર્થિક સંકટ ઘેરું થતા RBIએ હસ્તક્ષેપ કરીને બેંકના હાલના મેનેજિંગ બોર્ડને સસ્પેન્ડ કરી દીધું છે. YES બૅન્કના બોર્ડની વાત કરીએ તો તેમાં ગુજરાત કનેક્શન રહેલું છે. જેમાં ગુજરાત 2 IAS અધિકારીઓ બોર્ડમાં રહી ચૂક્યાં છે.
દેશની મોટા ગજાની ગણાતી Yes Bank ઉપર RBIએ મોરેટોરિયમ દાખલ કરીને ડિપોઝિટર્સને 50000થી વધુ રૂપિયા એક સાથે ન ઉપાડી શકવાનું ફરમાન જાહેર કરાતા હોબાળો મચી ગયો હતો. આ નિર્ણયથી શેરબજારમાં ભારે અફરાતફરી મચી છે અને રોકાણકારોને તેમના રૂપિયા પાછા મળશે કે કેમ એવો પ્રશ્ન ઉભો થયો છે.
Yes Bankનું ગુજરાત કનેક્શન
ભૂતકાળમાં પણ Yes Bank ચેરમેન રહી ચૂકેલા અશોક ચાવલા ગુજરાત કેડરના IAS અધિકારી અને પૂર્વ નાણાસચિવ રહી ચુક્યા હતા. નોંધનીય છે કે ચાવલા 2016થી નેશનલ સ્ટોક એક્સચેન્જના પણ ચેરમેન હતા. આમ એક સાથે આ બે ભૂમિકા ભજવતી વખતે એકબીજાના હિતોનો ટકરાવ થઇ શકે તેવી ભીતિ નિષ્ણાતો સેવતા હતા.
જો કે નવેમ્બર મહિનામાં ચાવલા બેંકના નોનએક્ઝિક્યુટિવ ચેરમેન પદથી હટી ગયા હતા અને તેમણે કારણ આપતા જણાવ્યું હતું કે બેંક કોઈ એવા વ્યક્તિની જરૂર છે જે વધુ સમય ફાળવી શકે. નોંધનીય છે કે આ રાજીનામા બાદ બેંકના સ્થાપક અને તે સમયના CEO રાણા કપૂરે પણ તેમનું પદ છોડ્યું હતું.
RBIએ હાલમાં જ યસ બૅંકના બોર્ડને બરખાસ્ત કર્યુ તેમાં પણ ગુજરાત કેડરના એક અધિકારી હતા
RBI એ યસ બેંક પર નિયંત્રણ લાદ્યા બાદ બોર્ડ ઓફ ડિરેક્ટર્સને હાલમાં જ બરખાસ્ત કર્યુ હતું અને ફરીથી નવા બોર્ડની રચના કરવાનો આદેશ આપ્યો છે. તે બોર્ડમાં ગુજરાત કેડરમાં પૂર્વ IAS અધિકારી મહેશ્વર સાહુને પણ બોર્ડમાં સામેલ હતા. મહેશ્વર સાહુએ તેમના 30 વર્ષના કારકિર્દીના ગાળામાં ગુજરાત સરકાર અને ત્યાર બાદ કેન્દ્ર સરકારની અતિ અગત્યની પોસ્ટ્સ ઉપર ફરજ બજાવી છે.
1980ની બેચના IAS અધિકારી મહેશ્વર સાહુ GIDCના વાઇસ ચેરમેન અને MD, સંદેશાવ્યવહાર અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ખાતાના જોઈન્ટ સેક્રેટરી, પર્યાવરણ અને જંગલ ખાતાના જોઈન્ટ સેક્રેટરી, ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીઝ કમિશનર, ગુજરાત ટુરિઝમના મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી જેવા અગત્યના પદો ઉપર ફરજ બજાવી ચુક્યા છે.
હાલ RBIએ જાહેર કરેલા નોટિફિકેશન અનુસાર SBI 2450 કરોડ રૂપિયાનું રોકાણ કરીને યસ બેન્કનો 49% હિસ્સો હસ્તક કરીને બેન્કને રિવાઇવ કરવાની યોજના બનાવી રહી છે.