Yes Bank પર સંકટ આવી પડતા ભગવાન જગન્નાથ મંદિરના પુજારી અને શ્રદ્ધાળુઓ ચિંતિત થયા છે. યસ બેન્કમાં ભગવાન જગન્નાથ મંદિરના 545 કરોડ રૂપિયા જમા છે. નોંધનીય છે કે, રિઝર્વ બેંકે યસ બેંક પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદી દીધા છે. યસ બેંકના પૈસા જમા કરનારાઓ માટે, આગામી એક મહિના સુધી ઉપાડની મર્યાદા 50,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે
Yes Bank પર આફત
પુરી જગન્નાથ મંદિરના 545 કરોડ રૂપિયા છે જમા
વધુ વ્યાજની લાલચમાં પૈસા મુકાયાના થયા આક્ષેપ
ઉલ્લેખનીય છે કે, પુરીમાં આ મંદિરના દૈતાપતિ (સેવક) વિનાયક દશમહાપાત્રાએ જણાવ્યું હતું કે રિઝર્વ બેંક દ્વારા યસ બેન્ક બેંક પર પ્રતિબંધ લાદવામાં આવતા સેવકો અને ભક્તોમાં ભયનો માહોલ છે.
વધુ વ્યાજની લાલચમાં ખાનગી બેંકમાં મુકાયા મંદિરના નાણા
તેમણે વધુમાં જણાવ્યું કે, અમે તો લોકો વિરૂદ્ધ તપાસની માગણી કરીએ છીએ જેમણે વધુ લાલચ મેળવવાના આશયથી ખાનગી ક્ષેત્રમાં આટલી મોટી રકમ જમા કરી. જગન્નાથ સેનાના સંયોજક પ્રિયદર્શી પટનાયકે કહ્યું કે, ભગવાનના ધનને ખાનગી ક્ષેત્રની બેંકમાં જમા કરાવવા માત્ર ગેરકાયદેસર જ નહીં પરંતુ અનૈતિક પણ છે. શ્રી જગન્નાથ મંદિર વહીવટી તંત્ર અને મંદિરની વ્યવસ્થા સમિતિ તેના માટે જવાબદાર છે.
FD સ્વરૂપે રાખવામાં આવ્યા છે નાણા
આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, ખાનગી બેંકમાં પૈસા જમા કરાવવા મામલે પુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પરંતુ આ મામલે કોઇપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આ આશંકાઓને ફગાવતા કાયદા મંત્રી પ્રતાપ જેનાએ કહ્યું કે, આ પૈસા બેંકમાં ફિક્સ ડિપોઝીટ સ્વરૂપે રાખવામાં આવ્યા છે. બચતખાતામાં રાખવામાં આવ્યા નથી.
તિરૂપતિ મંદિરના 1300 કરોડ રૂપિયા બચી ગયા
યસ બેંકના ગ્રાહકો પર મોટી આફત આવીને ઉભી છે ત્યારે આંધ્રપ્રદેશના તિરૂમલામાં રહેલા તિરૂપતિ વેંકટેશ્વર મંદિર ટ્રસ્ટે લીધેલો એક નિર્ણય તેમના માટે વરદાનરૂપ સાબિત થયો છે. નોંધનીય છે કે, મંદિર ટ્રસ્ટે ગત મહિને 1300 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા.
વાયવી સુબ્બા રેડ્ડીએ તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમનના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ અધિકારીઓને યસબેંકમાં જમા રહેલા રૂપિયા ઉપાડી લેવાના આદેશ આપ્યા હતા. આ ટ્રસ્ટનું ફંડ 4 પ્રાઇવેટ બેંકમાં જમા છે. જેમાની યસબેંક પણ એક છે.