વડોદરા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીમાં ખેડૂતોને દેખાઈ રહ્યું છે નુકશાન
ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં વિષમ વાતાવરણને લઈ ખેતરોમાં ઉભેલા ઘઉંના પાકોમાં ફૂગ જીવાતોનો ઉપદ્રવ વધ્યો.આ વિસ્તારનાં ખેડૂતો ચિંતિત બન્યા.સુત્રાપાડા તાલુકાનાં મટાણા પ્રશ્નાવડા,લોઢવા ઝાલાનાં વડોદરા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીમાં ખેડૂતોને દેખાઈ રહ્યું છે નુકશાન.જિલ્લા માં ઘઉંનો પાક હવે થોડા દિવસમાં તૈયાર થઈ જશે.ત્યારે મટાણા ગામના ખેડૂતોની સ્થિતિ દયનિય.
અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો
ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની પાછલા કેટલાક વર્ષોથી માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ બની રહી છે.સુત્રાપાડા વિસ્તારમાં ગત વર્ષ ચોમાસુ ખૂબ લાંબું ચાલ્યું.જેને કારણે મગફળીનો પાક નિષ્ફળ ગયો.હવે આજે જ્યારે શિયાળુ પાક ઘઉં 70 દિવસના થયા હોય તેમાં અચાનક સૂકો અને પીળીયા નામનો રોગ આવ્યો હોય ઘઉંની ડુંડી માં દાણો બાજતો નથી.ઘઉં પીળા પડી સુકાઈ રહ્યા છે.ખાસ કરીને મટાણા ગામની સ્થિતિ અત્યંત ચિંતા જનક છે.ખેડૂતોને વાસ્તવમાં ખ્યાલ આવતો નથી કે આ રોગ કયા પ્રકારનો છે.અને આ રોગ જીવાતના નિયંત્રણ માટે શું કરવું..?
ખેડૂતો ચિંતિત બન્યા
રવિ પાક સંદર્ભે આશા હતી કે, શિયાળુ પાક સારો લઈ શકશે. પરંતુ વાતાવરણની વિષમતા કહો કે ઘઉંની જાતની સમસ્યા ..! પણ ખેડૂતોને કાંઈ સમજાતું નથી.ઘઉંના પાકમાં વૃદ્ધિ જ દેખાતી નથી.ડુંડી કાળી અથવા પીળી પડી સુકાઈ જાય છે.રાસાયણિક તેમજ જૈવિક દવાઓનો પણ છંટકાવ કર્યો હોવા છતાં તેનું પરિણામ જોઈએ તેવું મળતું નથી આથી ખેડૂતો ચિંતિત બન્યા છે. દવા અને ખાતરોનો ખર્ચ કર્યા બાદ પણ રોગ જીવાત નિયંત્રણમાં આવતી નથી
ગીરના સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘઉંના ઉભા પાકમાં સૂકો દેખાવા લાગ્યો છે.અનેક દવા અને ખાતરોનો ખર્ચ કર્યા બાદ પણ રોગ જીવાત નિયંત્રણમાં આવતા નથી.ઘઉંમાં દાણો બાઝતો નથી અને આમજ સુકાઈ રહ્યા છે.હવે ખેડૂતોને આ ઘઉં ના છોડ ખેતર માંથી કાઢવાનો ખર્ચ પણ પોષાય તેમ નથી.તેને સળગાવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.ખેડૂતોના સંતાનોની શાળાની ફી પણ ભરી શકે તેમ નથી.વાયદાઓ ખોટા પડી રહ્યા છે.ત્યારે ગિરનો ખેડૂત દયનિય સ્થિતિમાં મુકાયો છે.
બીજામૃત અને જીવામૃત નો ઉપયોગ કરવાથી ઘઉંમાં રોગ જીવાતને કન્ટ્રોલ કરી શકાયઃકૃષિ વૈજ્ઞાનિક
ગીર સોમનાથનાં દરિયાઈ પટ્ટી વિસ્તારનાં ગ્રામ્ય પંથકમાં અને ખાસ કરીને સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણને કારણે વિવિધ જીવાત અને ફૂગનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે ગીર સોમનાથનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતોની સહાયે આવ્યું છે.કે.વી.કે.નાં કૃષિ વૈજ્ઞાનિકનું કહેવું છે કે, ઘઉંમાં જે ફૂગ અને જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે ખેડૂતોએ હવે પછી ઘઉંની સુધારેલી જાત જ વાવવી જોઈએ. નબળી ગુણવત્તા ધરાવતા ઘઉંની જાતને અટકાવવી જ રહી.આમ છતાં બીજામૃત અને જીવામૃત નો ઉપયોગ કરવાથી ઘઉંમાં રોગ જીવાતને કન્ટ્રોલ કરી શકાય. ઘઉંની ડુંડી કાળી પડી જાય અને દાણો સરખો ન બાઝે ત્યારે ફૂગનો ઉપદ્રવ વધે. સાયપર મેથીન સહિતની રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવો
આ સમયે 15 લીટર પાણીમાં(1 પમ્પ) 60 ML લીંબોળીનુ તેલ નાખી છંટકાવ કરવો જોઈએ તો ફૂગનું નિયંત્રણ કરી શકાય છે.ટ્રાયકોડરમાં નામની જૈવિક ફૂગને ભેજવાળી જમીનમાં ખેતરમાં નાખવામાં આવે તો સુકારાના રોગમાં નિયંત્રણ આવે છે. આ ઉપરાંત માટે 1 પમ્પમાં 35 ગ્રામ કારબેન્ડાઇઝમ અને મેન્કોઝિયમ ફૂગ નાશક દવાઓનો ઉપયોગ કરી શકાય તેમજ બીવેરિયા બાજીયા નામની જૈવિક જંતુનાશક દવા 1 પમ્પમાં 80 ગ્રામ દવા વાપરી શકાય.આનાથી પણ ફાયદો ન થાય તો સાયપર મેથીન સહિતની રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ.