છેલ્લા ઘણા સમયથી જમ્મૂ કાશ્મીર અને કાશ્મીરી પંડિતોને લઈને ચર્ચાઓ વધી છે ત્યારે કાશ્મીરના કુખ્યાત નેતા યાસીન મલિકે કોર્ટ સમક્ષ પોતાના આતંકવાદી કાવતરા સ્વીકાર કરી લેતા ખળભળાટ મચ્યો છે.
યાસીન મલિકે કોર્ટમાં આરોપો સ્વીકાર્યા
આતંકવાદી પ્રવુત્તિમાં સામેલ હતો યાસીન મલિક
કોર્ટ 19મી મેના રોજ આપશે ચુકાદો
UAPA હેઠળ લાગેલા આરોપો સ્વીકાર્યા
યાસીન મલિકે કબૂલ્યું છે કે તે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો, તેણે ગુનાહિત ષડ્યંત્ર પણ રચ્યું હતું અને તેના પર રાજદ્રોહની કલમ પણ સાચી છે. મલિકે UAPA હેઠળ લાદવામાં આવેલી કલમોનો પણ સ્વીકાર કર્યો છે. નોંધનીય છે કે વર્ષ 2017માં કાશ્મીર ખીણમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો હતો અને માહોલને ખરાબ કરવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ જ કેસમાં યાસીન વિરુદ્ધ દિલ્હીની એક કોર્ટમાં આ સુનાવણી ચાલી રહી હતી, જ્યાં મલિકે પોતાના પર લાગેલા તમામ આરોપો સ્વીકારી લીધા છે. 19 મેના રોજ સમગ્ર મામલે કોર્ટ ચુકાદો આપશે. યાસીન વિરૂદ્ધ જે કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે, તેવા કેસમાં તેને આજીવન કેદની મહત્તમ સજા થઈ શકે છે.
આતંકવાદી ઘટનાને અંજામ આપનાર બની ગયો નેતા
નોંધનીય છે કે યાસીન મલિક એક એવો વ્યક્તિ હતો જેણે પોતે જ ભારતીય વાયુસેનાના ચાર અધિકારીની હત્યા કરવાનું સ્વીકાર્યું હતું, પણ દેશનું દુર્ભાગ્ય છે કે મલિક ઘણા વર્ષો સુધી કાશ્મીરમાં લોકોનો જાણે પ્રતિનિધી હોય તેમ જલસા કરતો રહ્યો, જેના કારણે ભારતીય જનતા પાર્ટી સતત કોંગ્રેસ પર પ્રહાર કરે છે. જોકે હવે કાયદા સામે મલિક એવો ફસાયો છે કે બચવાનો કોઈ રસ્તો દેખાતો નથી એટલે જ આરોપો પણ ચૂપચાપ સ્વીકારી લીધા છે.
એકેયને છોડવામાં નહીં, એક એક કરીને કરાશે હિસાબ
જો કે, જે કેસમાં યાસીન વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, તે જ કેસમાં લશ્કરના નેતા હાફિઝ સઈદ અને હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીનના નામ પણ ચાર્જશીટમાં સામેલ છે. આ કેસમાં આ બંને આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. આટલું જ નહીં ફારુક અહેમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે, શબ્બીર શાહ, મસરત આલમ, મોહમ્મદ યુસુફ શાહ, આફતાબ અહેમદ શાહ, અલ્તાફ અહેમદ શાહ જેવા અલગતાવાદી નેતાઓ સામે પણ આરોપો ઘડવામાં આવ્યા છે.