ગાંધીનગરમાં આવેલ અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલા મામલે ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસએ અક્ષરધામ આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી મોહમ્મદ યાસર ગુમાલ મોહિદ્દીન બટ્ટની ધરપકડ કરી છે.
આ આતંકવાદી મોહમ્મદ યાસર ગુલામ મોહિદ્દીન બટ્ટની જમ્મૂ કાશ્મીરના અનંતનાગથી ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં છુપાયો હતો. ધરપકડ બાદ તેને કાશ્મીરથી અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ કરી છે. જેમાં પ્રદીપસિંહે જણાવ્યું હતું કે ગુજરાતના ATSએ એક આતંકીની ધરપકડ કરી છે. વર્ષ-2002માં અક્ષરધામ હુમલાના આતંકીની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે.
ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે, હુમલાના મુખ્ય કાવતરાખોર યાસીન ગુલામ બટ્ટની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ તે પાકિસ્તાનમાં છુપાયો હતો. એટીએસના કાફલો આતંકી યાસીન બટ્ટને થોડી વારમાં એરપોર્ટ પર લાવશે. ચુસ્ત બંદોબસ્ત સાથે આતંકિને ગુજરાત ATS લઈ જવાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં વર્ષ 2002માં આતંકવાદી હુમલો થયો હતો. જેમાં બે હથિયારબંધ આતંકવાદીઓએ મંદિર પર હુમલો કર્યો હતો. જેમાં 32 લોકોના મોત થયા હતા જ્યારે 70થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.