ગઇકાલે દ્વારકા-જામનગરના દરિયામાં ડૂબી જવાથી યુવાનોના મોત બાદ આજે માધવપુર પાસે દરિયામાં અમદાવાદના બે યુવાનોના ડૂબી જવાથી મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી છે.
માધવપુર પાસે દરિયામાં બે યુવાન ડૂબ્યા
અમદાવાદના બે યુવાનોના ડૂબી જવાથી મૃત્યુ
સ્થાનિક પોલીસ અને માછીમારોએ મૃતદેહ બહાર કાઢ્યા
માધવપુર પાસે દરિયા કિનારે ફરવા ગયેલા બે યુવાનો ડૂબી ગયાની કરુણ ઘટના સામે આવી છે. પોરબંદરના દરિયામાં ન્હાવાની મોજ માંણવા આવેલા બે મિત્રોના મોતને લઇને સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. બીજી તરફ વાયુ વેગે આ વાવડ પરિવારજનો સુધી પહોંચતા પરિજનોમાં રોકકળાટ ફેલાયો છે.
સંજય ઠાકોર અને આશિષ ઠાકોર નામના યુવાનના મૃત્યુ
પોરબંદરના દરિયાકાંઠે અમદાવાદના સંજય ઠાકોર અને આશિષ ઠાકોર નામના બે મિત્રો ફરવા ગયા હતા. બંને યુવાનો મિત્રો સાથે દ્વારકાથી સોમનાથ જઈ રહ્યા હતા. આ દરમિયાન બંને મિત્રો માધવપુર નજીક આવેલા દરિયામાં ન્હાવા પડ્યા હતા. તા જે વેળાએ દરિયાના જળ પ્રવાહમાં ડુબવા લાગ્યા હતા. બચવાના લાખ પ્રયત્ન બાદ પણ બંને યુવાનો પાણીમાં ડૂબી જતાં બંનેના મોત નિપજ્યાં હતા.આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
બંને યુવાનો મિત્રો સાથે દ્વારકાથી સોમનાથ જઈ રહ્યા હતા
ત્યારબાદ આ અંગે પોલીસને જાણ કરાતા સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને માછીમારોની મદદથી દરિયામાંથી બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢી મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે બેટ દ્વારકામાં કિરમાણી દરગાહ પાસે આવેલા દરિયામાં બે યુવાનો ન્હાવા પડ્યા હતા. જે દરમિયાન અચાનક જ બંને યુવાનો ડૂબી જતાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ઉપરાંત જામનગરમાં પણ રોઝી બંદર નજીક દરિયામાં ડૂબી જતાં એક યુવાનનું મોત નીપજ્યું હતું.