સામાન્ય રીતે લગ્નપ્રસંગ અથવા શુભ પ્રસંગે યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર સબ જેલમાં જેલર અને જેલ વિભાગના કર્મચારીઓ દ્વારા શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જેલમાં વર્ષોથી ખોડિયાર માતાજીનું સ્થાનક આવેલું છે જ્યાં જેલર સહીત કેદીઓ નિયમિત પૂજા અને દીવાબત્તી કરે છે.
ત્યારે જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓના મનમાં શાંતિ આવે તેમજ સજા ભોગવ્યા બાદ બહાર નીકળીને પરિવાર તેમજ સમાજમાં શાંતિપૂર્વક જીવન પસાર કરે તેવા હેતુથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્વાન બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં વૈદિક અને શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા યજ્ઞ યોજાયો હતો.
જેલમાં રહેલા અંદાજે 150 કરતા પણ વધુ કેદીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. કેદીઓના જીવનમાં પરિવર્તન આવે અને સામાન્ય માનવીને જેમ જ રહે તેવી આ તકે સામુહિક પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
જયારે જેલમાં સૌ પ્રથમ વખત થયેલ યજ્ઞના આયોજનથી કેદીઓ પણ ખુશ નજરે પડતા હતા અને રાજ્યની દરેક જેલમાં આ પ્રકારનું આયોજન થવું જોઈએ તેવી ઇરછા પણ વ્યક્ત કરી હતી. તેમજ જેલર દ્વારા પણ આ અંગે હકારાત્મક અભિગમ જોવા મળ્યો હતો.