ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ચીન સહિત વિશ્વના અનેક દેશો કોરોના વાયરસની ઝપેટમાં આવ્યાં છે. ત્યારે ગુજરાતના કેટલાક વિદ્યાર્થી પણ ચીનમાં ફસાયા છે. કોરોના વાયરસના કારણે વુહાન શહેરમાં 250 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે જેમાં ગુજરાતના પણ 20 વિદ્યાર્થીઓ ફસાયા છે. આ 20 વિદ્યાર્થીઓમાંથી એક વડોદરાની વિદ્યાર્થિની પણ ફસાઇ છે.
વુહાનમાં 250 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે
વુહાન શહેરમાં ગુજરાતના 20 વિદ્યાર્થી ફસાયા
શ્રેયા જયમાન નામની વડોદરાની વિદ્યાર્થિની ફસાઇ
વડોદરાની શ્રેયા જયમાન નામની વિદ્યાર્થિની ચીનમાં MBBSનો અભ્યાસ કરે છે. શ્રેયાના પિતાએ મુખ્યમંત્રી રૂપાણી અને વિદેશ મંત્રી પાસે મદદની ગુહાર લગાવી છે. ગૃહમંત્રી અને સાંસદ રંજનબેન ભટ્ટને રજૂઆત કરી દીકરીને વતન પરત લાવવાની માગ કરી છે. ટ્વિટ કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિદેશમંત્રી, ગૃહમંત્રી અને પીએમઓ ઓફિસ પાસે પણ મદદ માંગવામાં આવી છે.
ગુજરાતના 20 વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા
ચીનમાં અભ્યાસ કરી રહેલા ગુજરાતના 20 વિદ્યાર્થીઓ હાલ ચીનમાં ફસાયા છે.આ વિદ્યાર્થીઓએ એક વીડિયો મોકલીને પોતાને ત્યાંથી કાઢવા સરકાર પાસેથી મદદ માંગી છે. વૃંદ પટેલ નામના વિદ્યાર્થીએ પોતાના સાથીઓ સાથેનો મદદ માંગતો વીડિયો મોકલ્યો છે. તમામ મોઢા પર માસ્ક પહેર્યું છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, અત્યાર સુધી કોઈ ભારતીય તેની ઝપેટમાં નથી આવ્યો. વાયરસનો ચેપ ન લાગે તે માટે અમારે એક રૂમમાં પૂરાઈને રહેવુ પડે છે. અમે બહાર નીકળી પણ શક્તા નથી. અન્ય દેશોના લોકોએ પોતાના નાગરિકોને બહાર કાઢી લીધા છે. ત્યારે ભારત સરકાર અમને પણ બહાર કાઢે. અમને અહી ખાવાપીવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ઉલ્લેખનીય છે, શ્રેયા સાથે જે વિદ્યાર્થીઓ છે તેઓ અમદાવાદ, જામનગર, જુનાગઢ, વીસનગર, ગોધરા, લુણાવાડા શહેરના છે. જેઓ ચીનમાં ફસાયા છે.
વુહાનમાં 250 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા
ચીનમાં 250 ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય કેટલાક નાગરિકો ફસાયા છે. ત્યારે રવિવારે આ ભારતીયો માટે ત્રીજી હોટલાઇન શરૂ કરી છે. તે બધા ભારતીય કારોના વાયરસના કેન્દ્ર એવા વુહાન શહેરમાં છે, જ્યાં લોકોના હલનચલન પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જોકે ચીને ફસાયેલા અમેરિકનોને પરત મોકલી આપવાન વાત કરી છે. આવી સ્થિતિમાં ભારતીયો માટે પણ આ વ્યવસ્થા કરવામાં આવે તેવી આશા છે.
એર ઇન્ડિયા બોઇંગ 747 સ્ટેન્ડબાય
એર ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, એર ઇન્ડિયા બોઇંગ 747 સ્ટેન્ડબાય પર છે. કારોના વાયરસના ભયથી ચીનનાં વુહાનમાં હાજર ભારતીયોને પરત લાવવા માટે ખાસ વિમાન તૈયાર છે. કેરિયરને સરકારના નિર્ણયની રાહ છે. જણાવી દઈએ કે વુહાનથી પરત આવેલા બે વિદ્યાર્થીઓને જયપુર અને હોસ્પિટલમાં કારોના વાયરસના લક્ષણો જોયા પછી તેમને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ
જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી, પરંતુ એવું લાગે છે કે સરકારે વુહાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની વ્યવસ્થા કરવા ચીની અધિકારીઓને વિનંતી કરી છે. આમાંના મોટાભાગના ભારતીય મેડિકલ અભ્યાસ માટે વુહાન ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચીનમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધતો જઇ રહ્યો છે. આ વાયરસથી અત્યાર સુધી 80 લોકોના મોત થઇ ચૂક્યા છે. સાથે જ 2700 લોકો આ વાયરસથી અસરગ્રસ્ત છે. મળતી માહિતી મુજબ 324 લોકો હજુ પણ ગંભીર સ્થિતિમાં છે. એક બાજુ આ વાયરસ માટે વેક્સીન ડેવલપ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે તો બીજી બાજુ ચાઇના નેશનલ હેલ્થ કમિશને એ કહીને ચિંતા વધારી દીધી છે કે વાયરસના ફેલાવાની ક્ષમતા સતત વધી રહી છે.