સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર દબાણો અને બાંધકામ થતું હોવાના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરના નગરપાલિકા વોર્ડ નંબર-2 માં આવેલ સ્વસ્તિક સોસાયટીમાં અરજદારોના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દેરાસરનું બાંધકામ શરૂ થતાં સ્થાનિક રહિશોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે રહેણાંક મકાનોની પૂર્વ દિશામાં આવેલ બ્લોક નંબર -11 નો પ્લાન રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલ છે તેમ છતાંય કલેકટરની મંજૂરી વગર હેતુ ફેરફાર કરી ગેરકાયદેસર બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. રહેણાંક મકાનની બાજુમાં જ JCB અને હિટાચી મશીન દ્વારા પાયા ખોદવામાં આવતાં રહેણાંક મકાનોને નુકસાન પહોંચી રહ્યું છે.
આ અંગે સ્થાનિક રહીશોએ જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી અને આગામી દસ દિવસમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો 20 જેટલા લોકોએ કલેક્ટર કચેરી ખાતે સામુહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.