શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર કર્યા બાદ રિદ્ધીમાન સાહા સતત ચર્ચામાં આવી રહ્યાં છે. પહેલા તેમણે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ પર ટીમમાં પસંદગી ના કરવાને લઇને ઘણા આરોપ લગાવ્યાં અને બંને વચ્ચે થયેલી વાતચીતને જાહેર કરી દીધી. હવે BCCI તેની મુશ્કેલી વધારી શકે છે.
રિદ્ધીમાન સાહા હવે સતત ચર્ચિત થયા
સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ સાથે થયેલી વાતચીતનો મામલો
રિદ્ધીમાન સાહાએ બંને વચ્ચે થયેલી વાતચીતને જાહેર કરી
સાહાના નિવેદનથી BCCI બોર્ડના પ્રોટોકોલનું થાય છે ઉલ્લંઘન
સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ સાથે થયેલી વાતચીત જાહેર કરવા અંગે રિદ્ધીમાન સાહાને સવાલ કરી શકાય છે. સાહા અત્યારે BCCI ની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સામેલ છે અને તેમનું આ નિવેદન બોર્ડના પ્રોટોકોલનું ઉલ્લંઘન છે. સાહા વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ગ્રુપ બીમાં છે. કોન્ટ્રાક્ટના નિયમ 6.3 મુજબ કોઈ પણ ખેલાડી ખેલ અધિકારીઓ, રમતમાં થયેલી ઘટનાઓ, ટેકનોલોજીનો ઉપયોગ, ટીમને લઇને પસંદગી પ્રક્રિયા અથવા રમત સંબંધિત કોઈ પણ અન્ય મામલે કોઈ પણ ટિપ્પણી નહીં કરી શકે.
BCCI સાહાની મુશ્કેલી વધારશે?
BCCIના ટ્રેઝરર અરૂણ ધૂમલે આ મુદ્દે કહ્યું, આ વાતની શક્યતા છે કે BCCI રિદ્ધીમાનને પૂછી શકે છે કે એક કોન્ટ્રાક્ટ ક્રિકેટર હોવાને કારણે તેમને પસંદગી મુદ્દે કેવીરીતે વાત કરી. જ્યાં સુધી અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો સવાલ છે, તેમણે સાહાને રમવા માટે પ્રેરિત કરવાનું વિચાર્યુ હતુ. બોર્ડ કદાચ આ જાણવા માંગે છે કે આખરે કયા કારણોસર તેમણે બંધ રૂમમાં કોચ રાહુલ દ્રવિડ સાથે થયેલી વાતચીતને જાહેર કરી દીધી. અમે તેમને આ અંગે કેવીરીતે સવાલ કરીશું તે અંગે હજી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. બધા વ્યસ્ત છે, પરંતુ થોડા દિવસોમાં તેના પર નિર્ણય થશે.
સાહાએ શું કહ્યું હતુ?
રાહુલ દ્રવિડને લઇને સાહાએ કહ્યું હતુ, રણજી ટ્રોફીમાં હું એટલા માટે આ વર્ષે ભાગ નહીં લઉ કારણકે મને કહેવામાં આવ્યું છે કે ભારતીય ટીમ માટે હવે મારા નામ પર વિચાર કરવામાં આવશે નહીં. આ સાથે કોચ દ્રવિડે મને સંન્યાસ લેવાની સલાહ આપી હતી.