ડોનાલ્ડ ટ્રમ્પે ભલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ફાધર ઓફ ઇન્ડિયા' કહ્યું હોય પરંતુ મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ તેની સામે વિરોધ વ્યક્ત કર્યો છે. એમણે આશ્ચર્ય વ્યક્ત કરતા સવાલ કર્યો કે શું અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ખુદને પણ જોર્જ વોશિગ્ટનની જગ્યાએ રાખવા માંગશે?
તુષાર ગાંધીએ એમ પણ કહ્યું કે મહાત્મા ગાંધીની 150મી જયંતીને ભવ્ય તરીકે મનાવવાની સરકારની યોજના 'માત્ર સાંકેતિક' છે. ટ્રમ્પે ગત સપ્તાહે મોદીની પ્રશંસા કરતા કહ્યું હતું, 'મને યાદ છે ભારત પહેલા ઘણુ વહેંચાયેલુ હતું. ઘણો અસંતોષ હતો, લડાઇ હતી અને એમણે (મોદ)એ તમામને એકજુટ કર્યા. હોઇ શકે છે તે રાષ્ટ્રના પિતા હોય.'
અમેરિકી રાષ્ટ્રપ્રમુખના 24 સપ્ટેમ્બરના નિવેદન પર પ્રતિક્રિયા દર્શાવતા તુષાર ગાંધીએ કહ્યું, 'જે લોકોને નવો ફાધર ઓફ ઇન્ડિયા જોઇએ તેમનું સ્વાગત છે. ટ્રમ્પ પણ ઇચ્છશે કે જોર્જ વોશિંગ્ટન (સંયુક્ત રાજ્ય અમેરિકાના સંસ્થાપકોમાંથી એક)ની જગ્યાએ ખુદને રાખી લેવામાં આવે.'
59 વર્ષીય તુષાર ગાંધી, પત્રકાર અરુણ ગાંધીના પુત્ર, મણિલાલ ગાંધીના પૌત્ર અને મહાત્મા ગાંધીના પ્રપૌત્ર છે. ભારતમાં દક્ષિણ પંથના એક જુથ દ્વારા નાથૂરામ ગોડસેનું ગૌરવ ગાન કરવા વિશે પૂછવા પર તુષાર ગાંધીએ કહ્યું, 'સમય એ વિશેનું આકલન કરશે કે શું સારું છે.' એમણે કહ્યું, ' જે લોકો ઘૃણા અને હિંસાની પૂજા કરે છે તે ગોડસેની પ્રશંસા કરી શકે છે. તેમને લઇને મને કોઇ ફરિયાદ નથી. આ તેમનો અધિકાર છે, જે રીતે બાપૂની પૂજા કરવાનો મારો અધિકાર છે. હું તેમનું સ્વાગત કરું છું.'
મહાત્મા ગાંધીની 150મી જયંતી ધૂમધામથી ઉજવવાની સરકારની યોજના પર તુષાર ગાંધીએ કહ્યું કે આ પ્રકારના ઉત્સવ માત્ર સાંકેતિક છે. એમણે કહ્યું, 'બાપૂના વિચાર અને વિચારધાર દરેક જગ્યાએ લાગૂ થઇ શકે છે- જીવન અને તંત્ર પર સમાન રુપે, પરંતુ દુ:ખદ છે કે એવું થઇ રહ્યું નથી.' તુષાર ગાંધીએ કહ્યું, 'બાપૂ માત્ર સંકેતો સુધી સમેટાઇ ગયા છે, જેમકે કરંસી નોટ અને સ્વચ્છ ભારત અભિયાનના પોસ્ટરો સુધી'.
એમણે કહ્યું કે સમાજે સમજવું જોઇએ કે મહાત્મા ગાંધીની વિચારધારા સમયથી ઉપર છે અને તેણે દુનિયાભરમાં જન આંદોલનોને પ્રેરણા આપી છે. એમણે કહ્યું કે, ગાંધીજીની વિચારધારામાં 'નિરંતરતા' છે અને એવા સમયમાં આખી દૂનિયામાં તેની સ્વીકાર્યતા વધી રહી છે જ્યારે અસહિષ્ણુતા અને ચરમપંથી વિચારધારાઓ મજબૂત થઇ જઇ રહી છે.