IPL 2020 પોતાના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. લીગ મેચો પૂરી થઈ ગઈ છે. આ સિઝનમાં ઘણા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું.
એ જ કારણ છે કે આ વખતે પ્લેઓફમાં પહોંચવા માટે છેલ્લી લીગ મેચ સુધી રસાકસી જામી, જો કે કેટલાક એવા ખેલાડી પણ છે, જેમણે પોતાના ખરાબ પ્રદર્શનથી પોતાના ચાહકોને નિરાશ કર્યા એટલું જ નહીં, તેમનું આ કંગાળ પ્રદર્શન ખુદની ફ્રેંચાઇઝીને પણ ભારે પડ્યું. આ જ કારણથી આવા ખેલાડીઓને યોજાનારી હરાજી દરમિયાન મોટું નુકસાન થશે. આજે અહીં આવા જ કેટલાક ખેલાડી પર નજર કરીએ
કેદાર જાધવ
CSKના આ ખેલાડી માટે IPL 2020 બહુ જ ખરાબ સાબિત થઈ. 35 વર્ષીય આ ખેલાડી જ્યારે પણ ક્રીઝ પર આવ્યો, તેણે પોતાની ટીમને હરાવવામાં કોઈ કસર છોડી નહીં. જાધવની કોલકાતા સામેની 12 બોલમાં 7 રનની ઇનિંગ્સને કદાચ જ કોઈ ભૂલી શકશે. 7.8 કરોડ રૂપિયાના આ ખેલાડીએ આઠ મેચમાં માત્ર 62 રન બનાવ્યા અને તેનો સ્ટ્રાઇક રેટ પણ 93.93નો રહ્યો. સમગ્ર સિઝનમાં જાધવ એક પણ છગ્ગો ફટકારી શક્યો નહીં. હવે IPL 2021 માટે કદાચ જ કોઈ ફ્રેંચાઇઝી તેને ખરીદવાનું જોખમ ઉઠાવશે.
ગ્લેન મેક્સવેલ
કિંગ્સ ઈલેવન પંજાબનો આ ખેલાડી ગગનચુંબી છગ્ગા મારવા માટે દુનિયાભરમાં જાણીતો છે અને એ જ કારણ છે કે પ્રીતિ ઝિન્ટાની ટીમે આ ખેલાડીને 10.75 કરોડ રૂપિયાની અધધ કિંમતે ખરીદ્યો હતો, પરંતુ મેક્સવેલ 13 મેચમાં માત્ર 22.13ની સરેરાશથી 108 રન જ બનાવી શક્યો. મેક્સવેલના બેટમાંથી એક પણ છગ્ગો નીકળ્યો નથી. આગામી સિઝનમાં મેક્સવેલનો હવે ભગવાન જ માલિક છે.
જયદેવ ઉનડકટ
રાજસ્થાન રોયલ્સના આ ફાસ્ટ બોલર પર કોઈ ફ્રેંચાઇઝી બોલી લગાવે એવું હાલ તો લાગતું નથી. એક સમયે 11.5 કરોડની કિંમતે વેચાયેલા જયદેવે આ સિઝનમાં રમેલી સાત મેચમાં માત્ર ચાર વિકેટ જ ઝડપી અને આ ચાર વિકેટ ઝડપવા માટે તેણે 228 રન લૂંટાવી દીધા. રાજસ્થાન ટીમ મેનેજમેન્ટે જયદેવને ટૂર્નામેન્ટની મધ્યે જ બેંચ પર બેસાડી દીધો અને તેના સ્થાને કાર્તિક ત્યાગીને મેદાનમાં ઉતાર્યો, જેણે આશા કરતાં પણ વધારે સારું પ્રદર્શન કર્યું.
હરભજનસિંહ
CSKના ભજ્જીએ કોરોના મહામારીના કારણે IPL 2020માંથી નામ પાછું ખેંચી લીધું. ભજ્જી હવે 40 વર્ષનો થઈ ગયો છે અને એવું લાગી રહ્યું છે કે IPL 2021માં હવે કદાચ જ કોઈ ફ્રેંચાઈઝી તેના પર દાવ લગાવશે.