આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મનિન્દર અગ્રવાલે જણાવ્યું કે દિલ્હી,મહારાષ્ટ્ર,યુપી,ગુજરાત,છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં કોરોનાનું પીક આવીને જતું રહ્યું.
દિલ્હી,મહારાષ્ટ્ર,યુપી,ગુજરાત,છત્તીસગઢ અને એમપી કોરોના મુક્તિની દિશા તરફ
તમિલનાડુ, હિમાચલ, આસામ અને પંજાબમાં કોરોનાનું પીક આવવાનું બાકી
મેના અંત સુધીમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો થશે
જુનના અંત સુધીમાં 20,000 જેટલા કેસો આવી જશે
પ્રોફેસર મનિન્દર અગ્રવાલે જણાવ્યું કે તમિલનાડુ, હિમાચલ, આસામ અને પંજાબમાં કોરોનાનું પીક આવવાનું બાકી છે. તમિલનાડુમાં 29-31 મે દરમિયાન કોરોનાનું પીક આવી શકે છે તો પુડુચેરીમાં 19 થી 30 મે, આસામમાં 20-21 મે દરમિયાન પીક આવવાની ધારણા વ્યક્ત કરાઈ છે.
પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે સમગ્ર દેશભરમાં કોરોનાના કેસોમાં મેના અંત સુધીમાં મોટો ઘટાડો થઈ જશે. જુનના અંત સુધીમાં 20,000 જેટલા કેસો આવી જશે. તેના છ મહિના બાદ ત્રીજી લહેર આવી શકે છે. જે પછી પાછા કેસોમાં વધારો જોવા મળે તો નવાઈ નહીં.
દેશના ટોચના મહામારી નિષ્ણાંત અને વાયરોલોજિસ્ટ ડો.વી.રવિએ જણાવ્યું કે નવેમ્બર-ડિસેમ્બર 2021 માં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ શકે છે.
વાયરોલોજિસ્ટ ડો.વી.રવિએ જણાવ્યું કે સામાન્ય રીતે પહેલી લહેર પૂરી થયાના 3 થી 4 મહિનામાં નવી લહેર શરુ થતી હોય છે. આ હિસાબે જોઈએ તો બીજી લહેર જુલાઈ-ઓગસ્ટમાં પૂરી થઈ શકે છે. ત્રીજી લહેર માટે આપણી પાસે લગભગ 6 મહિનાનો સમય છે તેથી અત્યારથી તૈયારી કરી લેવી વધારે સારી છે.
ત્રીજી લહેરમાં બાળકો ઝપેટમાં આવી શકે છે, આ રહ્યું કારણ
ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધારે ભોગ બની શકે છે તેનું પાછળનું મુખ્ય કારણ એ છે કે જે લોકો ઈમ્યુન નથી તેમને વાયરસ જલદીથી પકડી લેશે. મોટા લોકોને તો વેક્સિન મળી રહી છે પરંતુ બાળકોને હજુ સુધી વેક્સિન મળી નથી. બાળકોની વેક્સિન પર ટ્રાયલ ચાલી રહી છે તેમાં 3 થી 4 મહિનાનો સમય લાગી શકે છે. દેશમાં હાલમાં બાળકોની સંખ્યા 30 કરોડ કરતા વધારે છે તેમાં 1 ટકા પણ બાળકોને ચેપ લાગ્યો તો લગભગ 3 લાખ બાળકો સંક્રમિત થઈ શકે છે.
કયા પ્રકારની તૈયારીઓની જરુર
કર્ણાટકના કોવિડ ટેકનીકલ એડવાઈઝરી કમિટીના સભ્ય રવિએ જણાવ્યું કે સરકારે કેટલાક નીતિગત નિર્ણયો લેવા જોઈએ. સ્કૂલ સુપર સ્પ્રેડર બની શકે છે. આપણી પાસે કોવિડ કેર વોર્ડ તથા આઈસીયુ નથી તેને પણ બનાવવા જોઈએ. સરવાળે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરુર છે.
પહેલી લહેરમાં વૃદ્ધો,બીજી લહેરમાં યુવાનો અને ત્રીજી લહેરમાં બાળકો શિકાર બનશે
જાણીતા કાર્ડિયોલિજિસ્ટ તથા નારાયણા હેલ્થના ચેરમેન તથા સંસ્થાપક ડો.દેવી શેટ્ટીએ જણાવ્યું કે કોરોના સતત સ્વરુપ બદલી રહ્યો છે. પહેલી લહેરમાં વૃદ્ધો, બીજી લહેરમાં યુવાનો ભોગ બન્યાં હતા અને હવે ત્રીજી લહેરમાં બાળકો ભોગ બની શકે છે તેને માટે અત્યારથી તૈયારી કરી લેવી જોઈએ.