અમદાવાદમાં ચોમાસા પહેલા જ ઠેર ઠેર ભૂવા, રોડ રસ્તાની હલકી ગુણવત્તાની કામગીરી આવી સામે, વાહનચાલકો પરેશાન
અમદાવાદમાં ચોમાસા પહેલા જ ભૂવારાજ
પશ્ચિમ વિસ્તારમાં ત્રણ સ્થળે પડ્યા ભૂવા
તંત્ર બેરિકેટ્સ લગાવી માની રહ્યું છે સંતોષ
એક તરફ શહેરમાં મેટ્રો રેલ, ઓવરબ્રિજ અને બુલેટ ટ્રેનને લઇને કામગીરી ચાલી રહી હોવાથી વાહનચાલકો પહેલેથી જ તકલીફ વેઠી રહ્યા છે ત્યારે હવે રોડ રસ્તાના કામોમાં પણ તંત્રની કામગીરીમાં લોલમ લોલ સામે આવતા લોકોએ હેરાન થવાનો વારો આવ્યો છે. હલકી ગુણવત્તાવાળા રોડ રસ્તામાં ભૂવા પડવાનું યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે ફરી એકવાર સ્માર્ટસિટી કહેવાતા અમદાવાદમાં તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
સ્માર્ટ સિટીના દાવા પોકળ
અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં 3 સ્થળે ભૂવા પડ્યા હોવાનું સામે આવ્યું છે. ચોમાસામાં ધોધમાર વરસાદ પડે અને રોડ રસ્તા ધોવાઇ જાય તે તો માન્યામાં આવે પરંતુ અત્યારે તો વરસાદ પણ નથી. ચોમાસા પહેલા જ રોડ રસ્તાના પોપડા ઉખડવાનું શરુ થઇ ગયુ છે. એક તરફ રોડ રસ્તાના કામો અંગે કરોડો રુપિયામાં કોન્ટ્રાક્ટરો સાથે ડીલ નક્કી કરવામાં આવે છે ત્યારે આવા ભૂવા પડતા સવાલ એ થાય કે કરોડો રુપિયા જાય છે ક્યાં ? શું કોન્ટ્રાક્ટરોને માત્ર મલાઇ ખાવામાં જ રસ છે? આવી હલકી ગુણવત્તાના રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટો સામે ક્યારે થશે કડક કાર્યવાહી ?
પશ્ચિમ વિસ્તારમાં 3 ભૂવા પડ્યા
અમદાવાદના સત્તાધાર, નવરંગપુરા અને શાસ્ત્રીનગર વિસ્તારમાં ભૂવા પડ્યા છે. રોડની વચ્ચો વચ ભૂવો પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. અકસ્માતનો પણ ભય રહે છે. ત્યારે આવી સ્થિતિમાં તાત્કાલિક ભૂવા પુરવાનુ શરુ કરવાને બદલે તંત્ર માત્ર બેરિકેટ્સ અને સાવધાન લખેલા બોર્ડ મૂકીને સંતોષ માની રહ્યું છે. ત્યારે અહીં સવાલ એ થાય કે કોન્ટ્રાક્ટરોની નબળી કામગીરી સામે કડક કાર્યવાહી ક્યારે ? કરોડોના ખર્ચે બનાવેલા રોડ રસ્તા પર કેમ પડે છે ભૂવા ? કેમ તંત્રને નથી દેખાતી વાહનચાલકોની હાલાકી ? સ્માર્ટ સિટીના દાવાને પોકળ સાબિત કરનાર તંત્ર ક્યારે થશે સતર્ક તે જોવુ રહ્યું.