21મી જુને વિશ્વ યોગ દિવસ આવી રહ્યો છે. વિશ્વભરમાં આ દિવસની ધુમધામથી તૈયારીઓ ચાલી રહી છે.
યોગ મટાડે રોગ એવું કહેવાય છે. આમ તો યોગની ક્રિયા અને યોગાસનોની સમગ્ર શરીર પર સકારાત્મક અસરો પડે છે. શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. સાથે સાથે કેટલાક ખાસ રોગમાં પણ તેનાથી ફાયદો થાય છે, પરંતુ કયા રોગ માટે કયા યોગ કરવા તે જાણવું પણ જરુરી છે.
ડાયાબિટીસ- શુગરને લગતો આ રોગ હોય તો સુર્યનમસ્કાર, કપાલભાતિ, મયુરાસન, અગ્નિસાર ક્રિયા, કુર્માસન અને પાદપશ્ચિમોત્તાસનથી પેનક્રિયાસ સક્રિય થાય છે.
થાઇરોઇડ- સર્વાગાસન, ઉષ્ટ્રાસન, ઉજ્જયી ક્રિયા કરવાથી થાઇરોઇડ ગ્રંથિઓ યોગ્ય રીતે કામ કરે છે.
મેદસ્વીતા- સુર્યનમસ્કાર, કપાલભાતિ અને વક્રાસન કરવાથી ચરબી ઘટે છે.
એસિડિટી- વજ્રાસન, પવનમુક્તાસન, પાદપશ્ચિમોત્તાસન શરીરમાં એસિડીટીની તકલીફ ઘટાડે છે.
માઇગ્રેન- કોઇ પણ પ્રકારનો માથાનો દુખાવો હોય તો શીર્ષાસન, ભ્રમરી પ્રાણાયમ, સિધ્ધાસન, સર્વાંગાસન કરવાથી પિટ્યુટરી ગ્લેન્ડ એક્ટિવ થાય છે અને કોઇ પણ પ્રકારના માથાના દુખાવામાં આરામ મળે છે.
સ્ટ્રેસ- નિયમિત 15 મિનિટ ધ્યાન અને લાફ્ટર થેરેપી કરવાથી સ્ટ્રેસમાંથી છુટકારો મળે છે.ગરદન, કમર અને સાંધાનો દુખાવો- ગર્દન માટે ભુજંગાસન, શલભાસન, કમરદર્દ માટે વક્રાસન, ત્રિકોણાસન, સર્પાસન અને ચંદ્રાસન અને ઘુંટણમાં દર્દ માટે તાડાસન કરવું.
અસ્થમા- ગોમુખાસન, ભસ્ત્રિકા, ઉત્તાનમંડુકાસન અને અનુલોમ-વિલોમ કરવાથી ફેફસાને તાકાત મળે છે.
શું ધ્યાન રાખશો:
- ભોજન બાદ તરત યોગ ન કરવા
- ગંભીર રોગ, કોઇ દર્દ, મહિલાઓએ માસિક અથવા પ્રેગનન્સી દરમિયાન યોગ ન કરવા
- બ્રહ્મમુહુર્તમાં ઉઠીને શૌચક્રિયા વગર કોઇ પણ યોગ ક્રિયા ન કરવી
- જો તમે નિયમિત યોગ કરતા હો તો એક વારમાં ભોજન કરી લેવાના બદલે થોડા થોડા અંતરે જમવું.
નોંધ: (કોઇપણ યોગ ક્યારેય કોઇ નિષ્ણાતની મદદ વગર ન કરવા નહીંતો ઉલટા પરિણામો આવી શકે છે.)