આજે World TB Day છે. ગુજરાતમાં ક્ષય રોગના કારણે સેંકડો લોકો અને તેમના પરિવારજનો દુઃખી થાય છે. આ બીમારીના આંકડા કોરોનાથી પણ વધારે ડરામણાં છે.
આજે વિશ્વ ટીબી દિવસ
ગુજરાતમાં દર વર્ષે 1.7 લાખ કેસ
2025 સુધીમાં ભારતને ટીબીમુક્ત કરવાની PM મોદીની જાહેરાત
આજે વર્લ્ડ ટીબી ડે છે. આજે 24 માર્ચના રોજ વર્લ્ડ ટીબી ડેની ઉજવણી કરવામાં આવે છે. ટીબીનો રોગ હવે સાધ્ય બન્યો છે. ભારત અને ગુજરાત સરકાર ટીબી ઇરેડિકેશન માટે પ્રયત્નો કરી રહી છે. દર્દીઓની દવા, ટ્રેકિંગ, સહાય જેવી ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. આજે ભારતમાં પણ ટીબીને લગતા આ નેશનલ પ્રોગ્રામને ખાસ્સી સફળતા મળી છે.
ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ
એમ તો સરકાર દ્વારા એની મફત સારવાર પણ આપવામાં આવે છે, પરંતુ ચિંતાજનક બાબત છે કે હજુ ટીબીના કેસો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ, ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ અને અમદાવાદ શહેરમાં દર વર્ષે ટીબીના 18000 કેસ નોંધાય છે, જ્યારે 900થી 1000 લોકો મૃત્યુ પામે છે. ટીબીનાં લક્ષણો ધરાવતો દર્દી જો યોગ્ય સમયે યોગ્ય સારવાર ન લે અથવા જો એનું નિદાન ન થાય તો વર્ષે 10 લોકોને ચેપ લગાવી શકે છે.
આજે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં કાર્યક્રમ
આજે 24 માર્ચના રોજ વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવશે. અમદાવાદમાં પાલડીમાં ટાગોર હોલ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં ટીબીના રોગ અંગેનો કાર્યક્રમનું આયોજન કરાયું છે.
રાજપુર-ગોમતીપુરમાં 48 ટકામાં ટીબીનો ચેપ
અમદાવાદના રાજપુર-ગોમતીપુરમાં કરાયેલા સરવેમાં એવી બાબત સામે આવી હતી કે, 48 ટકા લોકોમાં ટીબીનો ચેપ દેખાયો છે. ટીબીના દર્દીના સંપર્કમાં આવનારને ટીબીનો ચેપ લાગુ પડતો હોય છે. જોકે બાદમાં જો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઘટે તો પણ તેને ટીબીનો ચેપ લાગુ પડતો હોય છે.
2025 સુધીમાં ભારતને ટીબીમુક્ત કરવાની PM મોદીની વાત
PM મોદી દ્વારા 2025 સુધીમાં ભારતને ટીબીમુક્ત કરવાની આ વાત કરવામાં આવી છે. સરકારી નિયમો અનુસાર ખાનગી હોસ્પિટલના ડોક્ટરો પણ ટીબીના દર્દીઓની માહિતી મ્યુનિસિપલ તંત્રને આપી રહ્યા છે, જેને કારણે આવા દર્દીઓને ઝડપથી શોધી સારવાર આપવામાં આવી રહી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આ રોગને દૂર કરવા ખૂબ જ સઘન કામગીરી કરવામાં આવે છે. ટીબી થવા માટે મહત્ત્વનું કારણ કુપોષણ છે, આથી ટીબીથી બચવા પોષણક્ષમ આહાર મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વડાપ્રધાન દ્વારા 2025 સુધીમાં ભારતને ટીબીમુક્ત કરવાની આ વાત કરવામાં આવી છે, ત્યારે આ ટાર્ગેટ હાંસલ કરવ માટે પ્રયત્નો કરવામાં આરોગ્ય વિભાગ આવી રહ્યા છે.
દર્દીના પરિવારના 1 હજાર સભ્યોની પ્રિકોશન સારવાર
સામાન્ય રીતે ટીબીના દર્દીઓ સાથે રહેનાર તેમના પરિવારજનોને પણ ટીબીનો ચેપ લાગી શકે છે. જોકે જ્યાં સુધી તેમની રોગપ્રતિકારક શક્તિ યોગ્ય રહે અને પોષણક્ષમ આહાર યોગ્ય રહે ત્યાં સુધી ટીબી તેમના પર હાવી થતો નથી. ટીબીના દર્દીના પરિવારના 1 હજાર લોકોને મ્યુનિ. પ્રિકોશન સારવાર આપી રહી છે.