ચલ ભજવ ભજવ જે વેશ મળ્યો તું નચ સોણીએ
આ પડદો પારાવાર ખશ્યો તું નચ સોણીએ..
જાણીતા કવિશ્રી ધ્રુવ ભટ્ટ આ પંક્તિમાં રંગભૂમિની વાત કહી છે.ગુજરાતી ભાષાની ઓળખાણ સમા શબ્દકોષ ભગવદ્ગોમંડળમાં રંગભૂમિમાટે કથા ગાયન નાટક કે ભાષણ કરવા માટે બનાવેલો ચોતરો જેવા અનેક અર્થ આપવામાં આવેલ છે. વિશ્વની દરેક રંગભૂમિ પોતાની આગવી પરંપરાને કારણે જાણીતી બની છે.
ખાસ કરીને આપણી ગુજરાતી રંગભૂમિ એ આપણી ઓળખાણ છે આપણો અભૂતપૂર્વ વારસો છે. આ રંગભૂમિ પર અંગ્રેજી રંગભૂમિની અસર જોવા મળે છે એમ કહેવાય છે.વર્ષોજૂની આ પરંપરાના ઇતિહાસના પાનાં ફેરવતા ગુજરાતી નાટક ૧૨૮૦માં લખાયું હોવાનું જાણવા મળે છે. "તા થૈયા થૈયા તા થઈ" શરૂ થઇ આજકાલ કરતા ૧૬૦ થી વધુ વર્ષ જૂની આપણી ગુજરાતી રંગભૂમિએ અનેક ચઢતી-પડતી જોઈ છે. અનેક નામી અનામી કલાકારો તથા નાટકમંડળી રંગભૂમિનાં રંગદેવની આરાધનામાં મગ્ન બની કેટલાય સન્માન મેળવ્યા છે. કેટલાય કલાકારોએ પોતાની કારકિર્દીની શરૂઆત રંગભૂમિથી કરી છે તેમાં જાણીતા ગઝલ સામ્રાજ્ઞી બેગમ અખ્તર જાણીતું નામ અચૂક લેવાય છે તથા જાણીતા લોકસાહિત્યકાર હેમુ ગઢવીએ ૨૦ વર્ષ સુધી રાણકદેવી નાટકમાં રાણકદેવીનો વેશ ભજવ્યો છે તે કેમ ભૂલી શકાય. ઓલ્ડ થિયેટરના અંગ્રેજી નામે જાણીતી આ પરંપરા આજે ઓક્સિજન પર જીવી રહી છે. ત્યારે આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે ત્યારે કેટલાક ગીતોનો ખજાનો આપની સાથે વાગોળવાનું મન થાય છે.
" પ્રથમ ગણપતિનું ધ્યાન તમે ધરજો રે
માં ને મુજરો કરીને ચાચર રમજો રે"
ગણપતિ આરાધનાથી શરુ થયેલ નાટકોમાં ઝાંઝ તબલા પેડલ વાજું અને ભૂંગળ જેવા વાજિંત્રોનાં સાથ સાથે વિવિધ ગીતો ગાઇને જુદા-જુદા વેશ ભજવવાની પરંપરા છે. કોઇપણ નાટકની શરૂઆત ગણપતિ આરાધના દ્વારા કરવામાં આવતી જેમાં નાટકના તમામ કલાકારો સાથે સ્ટેજ પર આવી ગણપતિ વંદના કરતા હતા.
૧૯૨૧ માં ભજવાયેલા નાટક ' અરુણોદય'નું એક ગીત જાણીતું થયું હતું લ્યો કદાચ તમને સાંભરે....
'અરુણોદય' નાટકનાં આ ગીતમાં પત્ની પોતાના પિયુને સંદેશ મોકલતી વેળાએ ધણી જ્યારે આવે ત્યારે શું-શું સાથે લેતા આવજો તે વસ્તુઓની યાદી આ ગીતમાં આલેખવામાં આવી હોય તેમ લાગે છે. ઘણા લાંબા સમયથી પોતાની ભરથારની વાટ જોઇને બેઠેલી પત્ની પીયુને જલ્દી આવવાનો કોલ આપે છે.
આવી જ એક અન્ય જાણીતી રચના એટલે ૧૯૩૬માં ભજવાયેલા ' હંસાકુમારી' નાટકમાં ગવાયેલુ અને જાણીતા કવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની કલમે લખાયેલું ગીત..
" સાહ્યબો મારો ગુલાબનો છોડ વેલી હું તો લવંગની
ઊડશું જીવનમાં જોડાજોડ પાંખો જેવી પતંગની "
આ ભાવવાહી રચના મોહન જુનિયર નામના સંગીત નિર્દેશકે કંપોઝ કરી છે. એ સમયમાં એવું કહેવાતુ કે આ નાટક ભજવાતી વખતે આ ગીત ૪૦-૫૦ મિનીટ સુધી ગવાતું હતું.આજે આ કર્ણપ્રિય રચના લગ્નગીતમાં કે ગામડાના કોઈ ખોરડે અચૂક સંભળાય છે.
૧૯૪૧ની સાલમાં ભજવાયેલા નાટક "સંપત્તિ માટે" ની ઘણી બધી રચનાઓ અમર બની છે.જેમાં..
" ધનવાન જીવન મા'ણે છે નિર્ધન એ બોજો તાણે છે
કોઈ અનુભવીને પૂછી જો કે કોણ જીવી જાણે છે "
આ ગીતમાં જીવનની વાસ્તવિકતા રજુ કરાઈ છે.આ નાટકનું બીજું એક ગીત લ્યો મા'ણો...
આ રચના સાંભળનારને પોતાના બાળપણની યાદો અચૂક તાજી થઇ જાય છે. જયારે આવા નાટકોની રજૂઆત રંગભૂમિ પર કરાતી ત્યારે દર્શકોની વાહ-વાહ અચૂક મળતી અને કલાકારને પ્રોત્સાહન પણ આપવામાં આવતું.
મિત્રો પતિ-પત્નીનાં સંવાદો રજુ કરતા કેટલાય નાટકો રંગભૂમિ પર ભજવાયા છે. તે નાટકો પૈકીના એક નાટકનું જાણીતું ગીત એટલે... " તમે જોજો સૌ છોકરીને છોરા મારા પ્રીતમ છે પ્રોફેસર ભોળા
તમે જોજો સૌ છોકરાને છોરી મારી પરણેતર ગામડાની ગોરી "
આ ગીત દ્વારા ગામડાની ગોરી અને ભણેલ-ગણેલ પ્રોફેસરનાં દાંપત્યજીવનની વાત વણી લેવાઈ છે. ગુજરાતી રંગભૂમિનું સમૃદ્ધ નાટક એટલે ' માલવપતિ મુંજ '. આ ગીત આજે પણ સંભારણા રૂપી બન્યું છે.
" હૃદયનાં શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે
નાં પરવા માનની તોયે બધા સન્માન ઓછા છે "
આ ગીતની પ્રસ્તુતિ વખતે 'વન્સમોર' અચૂક કરવામાં આવતું. આવું જ એક ગીત એટલે ' છત્રવિજય' નાટકમાં ભજવાયેલું અને પછી ફરતું-ફરતું જાણીતા સંગીતકાર નૌશાદ સાહેબ સુધી પહોચ્યું અને બહુ જ વખાણ પામેલ ફિલ્મ ' મુગલે આઝમ'નું નટખટ કૃષ્ણલીલા દર્શાવતું ગીત એટલે...
મિત્રો રંગભૂમિનો આ અમૂલ્ય વૈભવ ૨૫૦૦૦થી વધુ ગીતો ધરાવે છે. આજે આવી અનેક રચનાઓ રેડીઓ સ્ટેશનમાં કે રેકર્ડસમાં સચવાયેલી ધૂળખાતી પડી છે.પોપ કલ્ચરે જૂની રંગભૂમિનાં ગીતોની જગ્યા લીધી છે છતાં ધીરેન્દ્રભાઈ સોમાણી જેવા નામી-અનામી અને જિંદગીના ૬-૭ દાયકા વટાવી ચુકેલા રંગભૂમિનાં રખોપિયા આ વારસાને જીવંત રાખી રહ્યા છે. ગુજરાતી વિશ્વકોષ ટ્રસ્ટ દ્વારા ૧૮૩૫થી ૨૦૦૩ સુધીના ૧૫૦ વર્ષનો ઈતિહાસ રજુ કરતો ગ્રંથ ' ગુજરાતી રંગભૂમિ રિધ્ધિ અને રોનક' તૈયાર કરીને આવનારી પેઢીને વારસા સ્વરૂપે આપવાનો પ્રયાસ કર્યો છે. એવા અનેક કલાકારો પણ ગુજરાતમાં હયાત છે જેમણે પોતાની જીંદગીના 30થી વધારે દાયકા રંગભૂમિની આરાધના માટે અર્પણ કર્યા છે.
તો સાથે કેટલાક કલાકારો એવા પણ છે જે આજે પણ 20-25 લોકોનું મંડળ બનાવીને ગામડે-ગામડે જઇને ભવાઇ પરંપરાને જીંવંત રાખવા મથામણ કરી રહ્યા છે ત્યારે આપણી પણ ફરજ છે કે આ કલાકારોને આપણે કોઇના કોઇ રીતે મદદ કરીએ.
આજે એટલે કે ૨૭ માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે આપણે પણ આપણા પરિવાર સાથે બેસીને જૂની રંગભૂમિનું કોઈ ગીત ગાવાનો સંકલ્પ કરી આ મોંઘેરા વિસરાતા વારસાને બચાવીએ. આ કામ થોડું અઘરું છે પણ સફળતા મળશે એવી શ્રદ્ધા છે.
મારું ગમતું રંગભૂમિનું ગીત..
" અલી હુયે નટરાજ છું ભગવાન શંકરનાં જેવડો
તારા આ નયનોના નખરે નાચીને મારો હવાઈ ગયો છે ચેવડો"
કવન આચાર્ય VTV News Websiteનાં કોપી એડિટર પણ છે.
( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે.)