એક હતો ચકો ને એક હતી ચકી. ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકી લાવી મગનો દાણો... ગુજરાતી ભાષાની આ સર્વશ્રેષ્ઠ વાર્તા છે એવો મારો મત છે. સ્કૂલમાં હતો અને જ્યારે કોઇ વાતને લઇને જીદ પકડતો પછી મોટા બેન કે મમ્મીના હાથનો પ્રસાદ મળતો અને હું રડતો ત્યારે મોટા બેન મને હસાવવા માથા પર છાનામાના કાગળનો ટૂકડો કે કંઇક મૂકી દે અને 'ચકા ઉપર ચકી બેઠી ચકો સારેય નહીં....' આવું કહીંને ચકા-ચકીની આખી વાર્તા કહીં સંભળાવે... આજે વિશ્વ ચકલી દિવસે WhatsAppમાં મળેલ અમુક વિડીયો જોઇને મને મોટા બેન સાથેની એ મસ્તી અને બાળપણના દિવસો યાદ આવી ગયા...
દિવસે-દિવસે લૃપ્ત થતી ચકલી જો 'ચી ચી ચી'ની જગ્યાએ માણસની જેમ બોલતી હોત તો કદાચ વન અધિકારીઓને અને સરકારને ગરીબ આવાસ યોજના હેઠળ શહેરના કોઈ પણ વિસ્તારમાં 1BHK ઘર(માળો)નું ફોર્મ ભરવાનું ચકાને જરૂર કહેત, પણ શુ કરે બીચારી ચકીબહેન અને ચકાભાઈ તે આપણી જેમ બોલી નથી શકતા. સમયની સાથે ઘર આંગણનું પક્ષી કેહવાતી ચકલી આજે લૃપ્ત થવાને આરે છે. મને આજે પણ બાળમંદિરમાં કહેવાતી વાર્તા એક હતો ચકો અને એક હતી ચકીની વાત યાદ છે. એ સમયે જ્યારે ખભે કોથળો(સ્કૂલ બેગ) નાખીને ઘરે જતા ત્યારે લઘર-વઘર કપડામાં જોઈને મમ્મીની ચિચયારીઓની સાથે ઘરના કોઈ બખોલમાં કિલકિલાટ કરતી ચકલી ચી ચી ચી જાણે આપણું મધુર સ્વરમા સ્વાગત કરતી હોય તેવુ લાગતુ હતુ, પણ આજે ચકલીની ચી ચી કરતાં ગાડીનો પો પો'નો અવાજ વધારે સાભળવા મળે છે.
એક બર્ડ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે આજે ગુજરાતમાં માત્ર 5 જ પ્રકારની હાઉસ સ્પેરો જોવા મળે છે અને તે પણ માત્ર શહેરી વિસ્તારથી દુર શાંત વાડી-ખેતર વિસ્તારમા જ. ચકલી લૃપ્ત થવાના મુખ્ય કારણો પૈકી એક માનવીના જીવન ધોરણમાં આવેલા પરિવર્તનને જવાબદાર ગણવામાં આવે છે. ઓસરીવાળા મકાનમાં રહેતો શ્રમજીવી માણસ ભારતીય પરંમપરા મુજબ ના તો હવે ઘરની બહાર પક્ષીઓ માટે પિવાનું પાણી મુકી શકે છે ના તો પક્ષીઓને માટે માળા. હવે તો માત્ર કોઈ વ્યકિતના ઘરની બહાર માત્ર કૂતરાથી સાવધાન અને નેમ પ્લેટ જ માણસનું સ્વાગત કરતી દેખાય છે. જેના કારણે ચકલીની સાથે માણસની જીવદયા પણ લૃપ્ત થવાને આરે છે.
આજે વિશ્વ ચકલીદિન નિમિત્તે શહેરીજનોને એટલી જ અપીલ છે કે સરકારે પણ હવે પટેલ અને અન્ય જ્ઞાતિઓને થોડુ અનામત આપી દીધું છે તો આપણે સૌ પણ પ્રથમ ચકલીને માળાનું અનામત આપીને એક આસરો જરૂર આપીએ. ચકલી પોતાના એક માળામાં ચાર ઈંડા આપે છે. જો આ માળામાં ચાર ઈંડામાંથી એક ચકલીનું બચ્ચુ પણ જીવી જાય તો વર્ષે એક હજારની ચકલીઓની સંખ્યા થાય. તો બીજા કોઈ આજે ઘરમાં ચકલીના માળા લગાવે કે ના લગાવે, પરંતું આજે આપણે જરૂર પોતાના ઘરે એક માળો લગાવીને માણસાઈના દિવા પ્રજ્વલિત કરીએ.
વિશાલ ચૌધરી VTV News Websiteનાં કોપી એડિટર પણ છે.