વેલેન્ટાઈન ડેને આવકારવા યુવાધન હિલોળે ચડ્યું છે ત્યારે આજે વર્ષોથી વિસરાયેલા રેડિયોનો જન્મદિવસ છે. રાજકોટની અર્જુનલાલ હિરાણી કોલેજમાં પત્રકારત્વની કેડીએ ચીલો ચાતરી રહ્યો હતો ત્યારે રેડિયોના વખાણ અને રેડિયોના ઇતિહાસ વિશેની અનેક વાતો ઠેસિયા સાહેબ અને ઘોડાસરા સાહેબ પાસેથી સાંભળેલી. આજે સવારે ઓફિસ આવ્યા બાદ સાથી કર્મચારી કૃપાએ આજે રેડિયો દિવસ છે તેમ કહ્યું અને વર્ષો જુની યાદ પર જામેલા ધૂળના પોપડા ખરી પડ્યા ને ધરબાયેલી તમામ વાતો માનસપટ પર આળસ મરડીને બેઠી થઇ.
પત્રકારત્વના અભ્યાસ ક્રમમાં ભણેલ રેડિયોના ઇતિહાસ અને રેડિયોથી FM સુધીની સફર અંગેની જાણકારી ફરી એકવાર તાજી થઇ. બાળપણમાં લખતરની મિડલ સ્કૂલમાં અભ્યાસ કરવા જતો ત્યારે રસ્તામાં આવતી શિતળા માંની આંબલીએ પગ પર પગ ચઢાવીને બેઠેલા વૃદ્ધોને રેડિયો કાન પાસે રાખીને સાંભળતા અનેકવાર જોયા છે.
શ્રવણશક્તિની મર્યાદા હોવા છતાં આ વૃદ્ધો ક્યારેય ક્રિકેટ મેચની કોમેન્ટ્રી સાંભળવાનું કે અમીન શયાની અને મોહમ્મદ રફીના ગીતો સાંભળવાનું ક્યારેય નહોતા ભૂલતા.
ઇ જમાનામાં તો રેડિયોનો મોટો વૈભવ હતો. ગામમાં જેની પાહે રેડિયો હોય તે વ્યક્તિ ગામડામાં શ્રીમંત કે મોભેદાર ગણાતો. જેની પાસે રેડિયો હોય તેના માનપાન વધી જતા. ગામમાં કોઇ નવો રેડિયો લાવે એટલે તેને જોવા માટે લોકો ટોળા વળતા. સાઇકલમાં આગળ લગાડેલ એક લોખંડનું સ્ટેન્ડ અને તેમાં બેસાડેલ પૌત્ર કે પૌત્રીને લઇને દાદા રેડિયો સાંભળતા ગામની ઉભી બજારેથી નીકળતા આ દ્રશ્યો અનેક વખત નરી આંખે જોયા છે. વડીલો પાસેથી તો તેવી પણ વાતો સાંભળવા મળી છે કે રેડિયો સાંભળવાના લાયસન્સ લેવા પડતા'તા.
5.58 મિનિટે અમદાવાદ આકાશવાણીનું સ્ટેશન ખુલે અને દિવાળીબેન ભીલ હેમુ ગઢવી બચુભાઇ ગઢવીના સૂરમાં શરૂ થતાં પ્રભાતિયાએ શુભદિવસના શ્રીગણેશ કરાવતા. પરોઢે વાસીદૂ વાળતી કે રોટલા ટીપતી ગામડાંની મહિલાઓ માટે રેડિયો આખા દિવસનું એનર્જી ડ્રિંન્ક્સ કહેવાતું. આ તમામ દ્રશ્યો દિવસે-દિવસે મૃત:પ્રાય બની રહ્યા છે જેનું ઘણું દુ:ખ છે.
આમ જુઓ તો ભારતમાં રેડિયોની શરૂઆત 1923માં થઇ હતી પરંતુ પછી કાંઇક કંપની ખાડામાં ગઇ અને અંતે 1930થી ભારત સરકાર દ્વારા આકાશવાણીની શરૂઆત થઇ. આ ઘટનાને આજે વર્ષોના વાણા વીતી ગયા છે પરંતુ રેડિયોના ચાહકો આજે પણ ગણ્યા-ગાંઠ્યા જેવા મળે છે.
યુનેસ્કોએ 13 ફેબ્રુઆરીને વર્લ્ડ રેડિયો તરીકે જાહેર કર્યો છે તે ખરેખર ગૌરવની વાત છે. છેલ્લા ચાર દાયકાથી એક વિશેષ કર્ણપ્રિય સંગીત સાથે 5.58 મિનિટે અમદાવાદનું આકાશવાણી સ્ટેશન ખુલે અને મોડી રાતે BBC લંડનના સમાચાર દ્વારા તે દિવસનું પ્રસારણ પુર્ણ થતું.
બિનાકા ગીત માલા પ્રભાતિયા અને રેડિયો સિલોન પર આવતી સ્મરણ મંજૂષાની યાદો આજે પણ હેમખેમ છે.અને ખાસ શાણાભાઈ શકરાભાઈ તો ક્યારેય ભૂલ્યા ભૂલાય તેવા નથી.જૂની રંગભૂમિના ગીતો અને ખાસ કરીને રાત્રે 8થી9 આવતો ફરમાઇસ કાર્યક્રમ દ્વારા હૈયે હરખની હેલીઓ ઉભરાતી.
ઘણાં એવા ઘર પણ જોયા છે જ્યાં રેડિયોના ચોક્કસ કાર્યક્રમ સાંભળવા માટે લોકો રેડિયો વચ્ચે મુકીને એક મોટું ચક્કર બનાવીને બેઠા હોય. આખો'દિ મોબાઇલ મંતરતી પેઢીને આ રેડિયો સેટની ખબર છે પરંતુ તેના જાજરમાન ઇતિહાસ અને તેની સાથે જોડાયેલ ઘરના વડિલોના સંસ્મરણોની નથી ખબર આજે વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે આપણે પણ એક રેડિયો વસાવીને તેની અસલ ઓળખને ઝાંખી થતાં અટકાવીએ.
કવન આચાર્ય VTV News Websiteનાં કોપી એડિટર પણ છે.
( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે.)