અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે. આ માટે કોટ વિસ્તારના પોળના મકાનોની બાંધણી અને વારસો કારણભૂત હતાં. પરંતુ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કેટલાંક અધિકારીઓ અને ભૂમાફિયાઓની મિલીભગતથી શહેરમાં ધરોહરનાં આ મકાનો કાં તો જમીનદોસ્ત થઈ ગયા છે અથવા કોમર્શિયલ ઈમારતોમાં ફેરવાઈ ગયા.
અમદાવાદ (Ahmedabad) શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી (World Heritage City) નો દરજ્જો મળ્યો છે. આ માટે કોટ વિસ્તારના પોળના મકાનોની બાંધણી અને વારસો કારણભૂત હતાં. પરંતુ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કેટલાંક અધિકારીઓ અને ભૂમાફિયાઓની મિલીભગતથી શહેરમાં ધરોહરનાં આ મકાનો કાં તો જમીનદોસ્ત થઈ ગયા છે અથવા કોમર્શિયલ ઈમારતોમાં ફેરવાઈ ગયા છે. આખરે રેલો પગતળે આવતાં એએમસી (AMC) તંત્ર હેરિટેજ બચાવવા જાગ્યું છે. ત્યારે જોઈએ આ અહેવાલમાં.
અમદાવાદ શહેરને યુનેસ્કો (UNESCO) દ્વારા વર્લ્ડ હેરિટેજ શહેરનો દરજ્જો મળ્યો તો જાણે સરકાર અને અધિકારીઓએ રાતો રાત મહેનત કરીને આ સિદ્ધિ મેળવી લીધી હોય તેવા ઢોલ પિટાવા લાગ્યા હતા. હકીકતમાં અમદાવાદ શહેરની પ્રતિષ્ઠાને હેરિટેજનું છોગું લાગવા પાછળ આ ભવ્ય ઈમારતોની કલાત્મક બાંધણી હતી. ભૂતકાળના ભારતની ભવ્ય જાહોજલાલી અને કલાવારસાના આબાદ નમૂના જેવી આ કાષ્ઠ કલાકૃતિથી શોભતા આ મકાનો એક ભવ્ય ભૂતકાળને સાચવીને બેઠા હતા અને તેની જાળવણી કરવાનું કામ એએમસી તંત્રની જવાબદારીમાં આવતું હતું. આ માટે હેરિટેજ મકાનોની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ મકાનોમાં કોઈ પણ પ્રકારના રિપેરિંગ કે ફેરફાર નથી કરી શકાતા. હેરિટેજ મકાનોમાં રિપેરિંગ કે ફેરફાર માટે હેરિટેજ કમિટીની મંજૂરી લેવી ફરજિયાત હોય છે.
હેરિટેજ મકાનોનો બારોબાર સોદોઃ
જો કે એએમસીના કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓ અને ભૂમાફિયાઓની મિલીભગતથી આજે અમદાવાદની પોળના હેરિટેજ મકાનોનો ખો નીકળી રહ્યો છે. હેરિટેજ મકાનો તોડવાનું એક સુયોજિપણે જાણે કે કાવતરું ચાલી રહ્યું છે. અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ શહેરનો દરજ્જો મળ્યો ત્યારે કોટ વિસ્તારના બે હજાર બસો છેતાલીસ મકાનોને હેરિટેજ ઘોષિત કરાયા હતાં. હવે બે વર્ષ બાદ હેરિટેજનો નશો ઓસરી ગયો હોય તેમ હેરિટેજ મકાનોને કોમર્શિયલ કરીને દુકાનોનું વેચાણ કરીને લાખો રૂપિયાનો નફો રળવામાં આવી રહ્યો છે. 23 હેરિટેજ મકાનોમાંથી ચાર મકાનોને તો આખે આખા તોડીને કોમર્શિયલ કરી દેવામાં આવ્યાં છે. બે સ્થળે તો હેરિટેજ મકાનો જ ગાયબ છે. મ્યુનિ. તંત્રના ધ્યાનમાં જાણે આ પહેલી વાર આવ્યું હોય તેમ આવા મકાનો સામે કાર્યવાહી કરવા તંત્ર રોડ પર ઊતરી પડ્યું છે.
શું એસ્ટેટનાં અધિકારીઓ ઉંઘમા હતાં?
તંત્ર તો અત્યારે જાગ્યું છે કે જાગવાનો ડોળ કરી રહ્યું છે પરંતુ આ પહેલા જે 23 મકાનને એસ્ટેટ વિભાગે સીલ કર્યા હતાં. એ મકાનોમાં જ હેરિટેજના નામે કમાઈ લેવાનો ધંધો ચાલતો હતો ત્યારે એસ્ટેટ વિભાગ ક્યાં હતો. એસ્ટેટ વિભાગ સીલ મારીને ઊંઘતું રહ્યું અને આ તરફ હેરિટેજ વારસો પ્રતિ ચોરસ મીટર સવા લાખ રૂપિયાના ભાવે વેચાતો રહ્યો. 23માંથી ચાર મકાનો આખે આખા કોમર્શિયલ થઈ ગયા તો ક્યાંક ફર્સ્ટ ફ્લોર ચેન્જ કરી દેવાયા. તો ક્યાંક હેરટેજની ઓળખસમું વૂડન સ્ટ્રક્ચર જ ગાયબ કરી દેવાયું છે અને તેની જ્ગ્યાએ સ્ટીલ ફ્રેમનું વધારાનું બાંધકામ જોડી દેવાયું છે. હવે એએમસીના એસ્ટેટ ટીડીઓ ખાતાના અધિકારીઓ વારસો સાચવવા જાગ્યા છે.
અહીં સૌથી મહત્વનો સવાલ એ છે કે હેરિટેજ મકાનો તોડી રાતોરાત કોમર્શિયલ ઈમારતો ઊભી થઈ ગઈ નથી. આ બધું હપ્તાખોરીની આડમાં ચાલતું હતું. ત્યારે વારસાના વેપાર માટે જવાબદાર એવા હપ્તાખોર અધિકારીઓ સામે ઠોસ કાર્યવાહી થશે કે કેમ? તે પણ એક સવાલ છે.