શહેરના કોટ વિસ્તારમાં હવે ગણતરીનાં માત્ર રર૩૬ હેરિટેજ મકાન સેપ્ટના સર્વે અનુસાર શેષ બચ્યાં છે. બીજી તરફ કોટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો હોઈ શહેરની અસ્મિતા સમાન હેરિટેજ મકાનનાં અસ્તિત્વ જોખમમાં મુકાયાં છે.
તાજેતરમાં તંત્રએ હેરિટેજ મકાનને કોમર્શિયલ સેન્ટરમાં ફેરવવાના મામલે બે બિલ્ડિંગ પર હથોડા વીંઝ્યા છે. સારંગપુરની પીત્તિળયા પોળમાં હજુ પણ ઓપરેશન ડિમોલિશન ચાલુ છે, જોકે હેરિટેજ મકાનને આરસીસી કન્સ્ટ્રક્શન સાથે રહેણાકમાં ફેરવનાર સામે કોઇ પ્રકારની કામગીરી થવાની ન હોઇ એક પ્રકારે તંત્રએ આ લોકોને અભય વચન આપ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
તાજેતરમાં હેરિટેજ પ્લેટ લગાવવાની કામગીરી દરમિયાન જે તે મકાન કાં તો પૂર્ણરૂપે બદલાયેલું અથવા આંશિક રીતે ફેરફાર કરાયેલું ધ્યાનમાં આવતાં તંત્ર ચોંકી ઊઠ્યું હતું.
હેરિટેજ વિભાગ દ્વારા મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગને આવાં મકાનોની યાદી તૈયાર કરી સોંપાઇ હતી. આ યાદીના આધારે તંત્રે કુલ ૩૧ બિલ્ડિંગને તાળાં માર્યાં હતાં, જ્યારે લાખિયાની પોળના કોમર્શિયલ સેન્ટરને જમીનદોસ્ત કરી પીત્તળિયા પોળના એક કોમર્શિયલ બિલ્ડિંગને તોડી પાડવાની કામગીરી ચાલુ છે.
દરમિયાન જે તે હેરિટેજ મકાનને આરસીસીના પાકા બાંધકામ સાથે રહેણાક મકાનમાં ફેરવનાર બિલ્ડર કે તેમાં વસવાટ કરતા નાગરિકો સામે શાસકો કોઇ પગલાં લેવાના નથી.
તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં શાસકોએ રહેણાક બિલ્ડિંગના મામલે કોઇ પગલાં નહીં લેવાય તેમ જણાવી પોતાના હાથ ઊંચા કર્યા હતા. આ તો ઠીક, પરંતુ કોમર્શિયલ સેન્ટરમાં ફેરવનાર લેભાગુ તત્વો સામે પણ શાસક પક્ષ પોલીસમાં એફઆઇઆર નોંધાવવા માટે તૈયાર નથી.