WHOએ ચોંકાવનારો દાવો કર્યો છે કે, 'વિશ્વભરમાં ઝડપથી વધી રહેલા વાયુ પ્રદૂષણના કારણે દર એક મિનિટે 13 લોકોના મોત થઈ રહ્યાં છે.'
વિશ્વભરમાં વાયુ પ્રદૂષણના કારણે ઉભી થઇ છે અનેક સમસ્યાઓ
દર એક મિનિટે 13 લોકોના મોત થઈ રહ્યાં હોવાનો WHOનો દાવો
દર વર્ષે 7 મિલિયનથી વધારે લોકોનાં થઇ રહ્યાં છે મોત
કોરોના વાયરસ મહામારી વચ્ચે સમગ્ર વિશ્વમાં વિશ્વ આરોગ્ય દિવસ (World Health Day) ની ઉજવણી કરવામાં આવી. ત્યારે આ અવસર પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ એક ચોંકાવનારી અને હેરાન કરનારી માહિતી શેર કરી છે. WHO એ જણાવ્યું કે, વિશ્વભરમાં ઝડપથી વધી રહેલા વાયુ પ્રદૂષણના કારણે ઊભી થયેલી સમસ્યાઓના લીધે દર એક મિનિટે 13 લોકોના મોત થઈ રહ્યાં છે.
WHOએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતા કહ્યું કે, 'સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપથી વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે, જેના કારણે ફેફસાના કેન્સર, હૃદય સંબંધિત રોગો અને સ્ટ્રોક જેવા ગંભીર અને જીવલેણ રોગોનું જોખમ વધી રહ્યું છે. જેના કારણે દર મિનિટે હવાનું પ્રદૂષણ પણ સતત વધી રહ્યું છે. ઓછામાં ઓછાં 13 લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે.
સંગઠને ચેતવણી આપી છે કે તેલ, કોલસો અને કુદરતી ગેસ જેવાં અશ્મિભૂત ઇંધણને બાળવાથી વાયુ પ્રદૂષણ થાય છે અને તેને રોકવાની ખાસ જરૂર છે. જો તમારે આવતીકાલનું જીવન સ્વસ્થ જોઈએ છે તો જમીનમાં અશ્મિભૂત ઇંધણ રાખો.
દર વર્ષે 7 મિલિયન લોકોનાં મોત
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કહ્યું કે, વાયુ પ્રદૂષણ વિશ્વમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. સંસ્થાનું કહેવું છે કે, આસપાસના અને ઘરગથ્થુ વાયુ પ્રદૂષણના સંપર્કમાં દર વર્ષે 7 મિલિયનથી વધારે લોકો મૃત્યુ પામે છે.
વાયુ પ્રદૂષણથી થનારી બીમારીઓ
સંગઠનનું માનવું છે કે, શહેરોમાં તેનો ખતરો સૌથી વધારે છે. વાયુ પ્રદૂષણના પ્રભાવથી દર વર્ષે લાખો લોકોના અકાળે મોત થાય છે, જેનું મુખ્યત્વે કારણ સ્ટ્રોક, હૃદય રોગ, ક્રોનિક અવરોધક પલ્મોનરી રોગ, ફેફસાંનું કેન્સર અને તીવ્ર શ્વસન સંક્રમણ વગેરે છે.
વિશ્વની 91% વસ્તી પ્રદૂષણની ઝપેટમાં
સંસ્થાનું માનવું છે કે, વિશ્વની 91% વસ્તી એવાં સ્થળોએ રહે છે કે જ્યાં વાયુ પ્રદૂષણનું સ્તર WHO ની માર્ગદર્શિકાની મર્યાદા કરતાં વધી જાય છે. ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં રહેતા લોકો વધુ પીડાય છે.
વાયુ પ્રદૂષણ પર WHO ની ચેતવણી
Burning fossil fuels like oil, coal and natural gas causes air pollution.
— World Health Organization (WHO) (@WHO) April 7, 2022
શહેરોમાં દર વર્ષે 4.2 મિલિયન મોત
શહેરમાં રહેતા લોકો માટે વાયુ પ્રદૂષણનું જોખમ સૌથી વધારે હોય છે. જેનાથી શહેરોમાં સ્ટ્રોક, હૃદય રોગ, ફેફસાના કેન્સર, તીવ્ર અને ક્રોનિક શ્વસન રોગોના જોખમમાં વધારો થાય છે, જેના કારણે દર વર્ષે અંદાજે 4.2 મિલિયન લોકો મૃત્યુ પામે છે.
વાયુ પ્રદૂષણ અટકાવવાનાં પગલાં
જાહેર પરિવહનનો ઉપયોગ કરો
ઉપયોગમાં ન હોય ત્યારે લાઇટ બંધ રાખો
વસ્તુઓને રિસાયકલ કરો અને ફરીથી ઉપયોગ કરો
પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરશો નહીં
કોઈપણ પ્રકારનો ધુમાડો શ્વાસમાં લેવાનું ટાળો
એસીને બદલે પંખાનો ઉપયોગ કરો
ફિલ્ટર ચીમનીનો ઉપયોગ કરો
ફટાકડા ફોડવાનું ટાળો
રાસાયણિક ઉત્પાદનોનો ઉપયોગ કરશો નહીં
બને તેટલાં વૃક્ષો વાવો
ઘરેલુ વાયુ પ્રદૂષણથી દર વર્ષે 3.8 મિલિયન લોકોનાં મોત
ઘરેલુ વાયુ પ્રદૂષણ એ વિકાસશીલ દેશોમાં રોગ અને અકાળ મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક છે. રસોઈ પકવવાની આગના ધુમાડાના સંપર્કમાં આવવાથી દર વર્ષે 3.8 મિલિયન લોકોના અકાળે મોત થાય છે. તેમાં મોટા ભાગે ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોનો સમાવેશ થાય છે.