આજે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ છે. WHO એટલે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન માનવના સ્વાસ્થ્ય અંગે સતત ચિંચિત અને જાગૃત રહે છે. WHOના ટૂંકા નામથી જાણીતા બનેલા આ સંગઠન દ્વારા 7 એપ્રિલને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ જાહેર કરેલ છે. આ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ વિશ્વમાં ઠેર-ઠેર ફેલાયેલી જોવા મળતી એચઆઈવી ક્ષય રોગ મેલેરિયા જેવી મહાબીમારીઓ અંગે લોક જાગૃતિ લાવવાનો છે.
મિત્રો આજે વિશ્વ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે તે પછી ખગોળનો વિષય હોય કે પછી મેડિકલનો વિષય પળે-પળ બદલાતી રહેલી આ દુનિયા સતત આગળ વધી રહી છે. પરંતુ આ તમામ ઘટનાઓ સાથે કથળતી માનવીની જીવન શૈલીને કારણે અનેક બિમારીઓ અને મહાબિમારીઓએ ભરડો લીધો છે. ત્યારે જીવન જીવવાની કળામાં કેટલોક બદલાવ લાવવો તે માનવીની પ્રથમ ફરજ છે.
માનવના સ્વાસ્થ્ય અંગે સતત ચિંતિત રહેતી સંસ્થા વિશે વાત કરીએ તો આજથી આશરે 69 વર્ષ પહેલા WHOની પ્રથમ બેઠક મળેલ જેમાં વિશ્વના 61 દેશોએ ભાગ લીધો હતો. અને એક અનોખું ઓર્ગેનાઇઝેશન પ્રકાશમાં આવ્યું.
આજે આ સંસ્થા વિશ્વ સ્તરે કાર્યરત છે અને કેટલાક અસામાન્ય રોગો અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને વિશ્વના કેટલાય દેશને ચિકિત્સાલયની બાબતોમાં મદદ કરવામાં અગત્યનો ફાળો આપી રહ્યું છે. આજે આ સંસ્થા માનવીને નીરોગી રાખવા અડિખમ પ્રયાસો કરી રહી છે અને માનવ સ્વાસ્થ્ય અંગે સતત ચિંતા કરતી રહે છે.
WHOએ કેટલાક રોગો પર સંશોધન કરીને ઇલાજ શોધીને તે રોગ અંગે લોકજાગૃતિ લાવીને રોગનો જળમૂળમાંથી દૂર કરી કેટલાક રોગ માટે 70 થી 80 ટકા કાબૂ મેળવી માનવને સારૂ આરોગ્ય પ્રદાન કરેલ છે.
ભારત અને WHO વચ્ચે મહત્વની કડી તરીકે ડો.હેન્ક બેકેડેમ મહત્વની કડી બનીને ભારતના લોકોને સારૂ આરોગ્ય મળી રહે તેવા સન્નિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. હાલ વિશ્વમાં એક ભયંકર બિમારી પ્રસરી રહી છે તે છે ડિપ્રેશન આજે વિશ્વના કેટલાય માનવીઓ ડિપ્રેશનનો શિકાર બન્યા છે. આ સાથે ડાયાબિટીસ હાર્ટ અટેક BP અને કેન્સર જેવા રોગોએ પણ ભરડો લીધેલ છે જે ખરેખર ચિંતાનો વિષય છે. આ રોગ અંગે લોકજાગૃતિ આવે અને માનવ પોતાની જીવનશૈલી સુધારે તો જ આ રોગને જળમૂળમાંથી હટાવી શકાશે.
મિત્રો આજે વિશ્વ આરોગ્ય દિવસ છે ત્યારે ચાલો એક સંકલ્પ કરીએ કે આપણી રોજબરોજની જીવન પધ્ધતિમાંથી કેટલાક ફેરફાર કરીએ..જેમાં સમયસર ખોરાક લેવાની ટેવ પાડીએ પૂરતી ઊંઘ લઇએ રોજ સવારે ફરજીયાત વ્યાયામ અને કસરત કરીએ. આ તમામ બાબતોનું ફરજીયાત પણે પાલન કરીને WHOએ શરૂ કરેલ યજ્ઞમાં આહૂતિ આપી આપણે સ્વસ્થ તો સમાજ સ્વસ્થ સમાજ સ્વસ્થ તો દેશ સ્વસ્થ અને દેશ સ્વસ્થ હશે તો જ વિશ્વને પણ સ્વસ્થ રહેશે.
કવન આચાર્ય VTV News Websiteનાં કોપી એડિટર પણ છે.
( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે.)