આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા 10 કરોડ વૃક્ષો ગુજરાતમાં વાવવાનો મહત્વનો નિર્ણય કરાયો હતો. ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસ અને સ્વચ્છતા મુદ્દે અમદાવાદ મેયર બિજલ પટેલ અને મ્યુનિ. કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.
અમદાવાદ મેયર અને મ્યુનિ.કમિશનરની પત્રકાર પરિષદ
સ્વચ્છ અભિયાનને લઈ મેયર બિજલ પટેલે કહ્યું કે, વિશ્વ પર્યાવરણ દિવસે સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. CM વિજય રૂપાણી અમદાવાદ શહેરમાં 50 ઈ-રીક્ષાનો આરંભ કરશે. CM રૂપાણી સાબરમતી નદીના પટ પર ઉતરીને સફાઈ અભિયાન શરૂ કરશે.
મ્યુનિ.કમિશનરે સ્વચ્છતા અભિયાન મામલે જણાવ્યું કે, આવતીકાલે CMના હસ્તે 4 અભિયાનો હાથ ધરાશે. 10થી 20 હજાર નાગરિકો સ્વચ્છતા અભિયાનમાં જોડાશે.સ્વચ્છતા અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 10થી વધુ પોઈન્ટ પર મેડિકલ ટીમ તૈનાત રહેશે. ગાંધી આશ્રમ ખાતેથી સફાઈ અભિયાન શરૂ થશે. શહેરમાં 15 લાખથી વધુ રોપા વવાશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ કોર્પોરેશન દ્વારા પર્યાવરણ દિવસને લઇને સાબરમતી નદીને સાફ કરવાનું મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિજય નહેરા અને મેયર બિજલ પટેલે દ્વારા આ અંગે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર યુદ્ધના ધોરણે સાબરમતી નદીને સાફ કરવાનું આયોજન કરવામાં આવ્યું.