આજે દુનિયાભરમાં ‘વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે’ છે. વડીલો સાથે થતા દુર્વ્યવહાર પર અંકુશ લગાવવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુથી દર વર્ષની 15 જૂને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે સ્થિતિ એવી છે કે મોટાભાગના લોકો તેમના વૃદ્ધ માતા-પિતાને બોજ માને છે અને તેમનાથી છુટકારો મેળવવા ઈચ્છે છે. રિપોર્ટમાં જણાવ્યાં અનુસાર, 35 ટકા લોકોને વડીલોની સેવા કરવામાં હવે ખુશી મળતી નથી. 25 ટકા લોકો વડીલોની સંભાળ લેવામાં ફ્રસ્ટ્રેશન અનુભવે છે.
આજે દુનિયાભરમાં ‘વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે’ છે. વડીલો સાથે થતા દુર્વ્યવહાર પર અંકુશ લગાવવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુથી દર વર્ષની 15 જૂને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના પ્રસ્તાવ 66/127નાં પરિણામસ્વરૂપે આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. જેમ-જેમ દુનિયામાં સિનિયર સિટિઝન્સની સંખ્યા વધતી જાય છે તેમ તેમ તેમની સાથેના ખરાબ વ્યવહારની ઘટનાઓ પણ વધી રહી છે. હવે આ એક ગંભીર સામાજિક સમસ્યા બની ગઈ છે, જે માનવ અધિકારોને પણ પ્રભાવિત કરી રહી છે.
35 ટકા લોકોને વડીલોની સેવા કરવામાં ખુશી મળતી નથીઃ
‘હેલ્પ એજ ઈન્ડિયા’ સંસ્થાએ વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડેની પૂર્વ સંધ્યાએ જારી કરેલા એક રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે. આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે અને આપણી માનસિકતા કઈ કક્ષાએ પહોંચી ગઈ છે તેનો સ્પષ્ટ ચિતાર આ રિપોર્ટ પરથી મળે છે. આજે સ્થિતિ એવી છે કે મોટાભાગના લોકો તેમના વૃદ્ધ માતા-પિતાને બોજ માને છે અને તેમનાથી છુટકારો મેળવવા ઈચ્છે છે. રિપોર્ટમાં જણાવ્યાં અનુસાર, 35 ટકા લોકોને વડીલોની સેવા કરવામાં હવે ખુશી મળતી નથી. 25 ટકા લોકો વડીલોની સંભાળ લેવામાં ફ્રસ્ટ્રેશન અનુભવે છે.
‘ભારતમાં વડીલો સાથે દુર્વ્યવહાર:
દેખરેખ કરવામાં પરિવારની ભૂમિકા, પડકારો અને પ્રતિક્રિયા’ વિષય પર હાથ ધરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, 25 ટકા લોકોને વડીલોની દેખરેખ રાખવામાં, તેમની સારસંભાળ લેવામાં નિરાશા અને ફ્રસ્ટ્રેશનનો અનુભવ થાય છે. સર્વેમાં ભાગ લેનારા 29 ટકા લોકોએ કબુલ્યું હતું કે, તેઓ તેમના વડીલોને ઘરમાં રાખવાના બદલે વૃદ્ધાશ્રમમાં રાખવાનું પસંદ કરે છે. સર્વેમાં 20 શહેરોના કુલ 2090 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. તેમાં 30થી 50 વર્ષની ઉંમરના દીકરા, દીકરીઓ અને જમાઈએ ભાગ લીધો હતો.
15 ટકા લોકો માટે વડીલોની સેવા એક બોજ છેઃ
એક અભ્યાસ અનુસાર, ભારતમાં વડીલો ખાસ કરીને 60 વર્ષ કે તેનાથી મોટી ઉંમરના લોકોની વસ્તીમાં 2050 સુધીમાં 20 ટકાનો વધારો થવાનો છે. એવા સંજોગોમાં આ રિપોર્ટ આવનારા સમયમાં સમાજની તસ્વીર કેટલી ભયાનક હશે તેનો ચિતાર આપે છે. સર્વેમાં 15 ટકા લોકોએ સાફ જણાવ્યું હતું કે, વડીલોની સેવા કરવાને તેઓ એક બોજ માને છે.