ચીનમાંથી ફેલાયેલો કોરોના વાઈરસ ધીમે ધીમે સમગ્ર દુનિયા માટે મોટો ખતરો બનીને વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ વાઈરસ માનવજાતના અસ્તિત્વ માટે તો સૌથી મોટો પડકાર છે જ પણ તેની સાથે-સાથે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર પણ તે વજ્રઘાત કરી રહ્યો છે. ચીન સહિત અનેક દેશના અર્થતંત્રના પાયા કોરોના વાઈરસે હચમચાવી દીધા છે.
ચીન ભારતનું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં અંદાજે ૪,૦૦૦ જેટલી નાની કંપનીઓ ચીનની આયાત પર જ નિર્ભર
ભારતની ૨૮ ટકા આયાતને કોરોનાની અસર થાય તેમ છે
કોરોના વાઈરસ કઈ હદે માનવ સ્વાસ્થ્યની સાથે-સાથે અર્થવ્યવસ્થા માટે પણ મોટું સંકટ બની ગયો છે તેનો પુરાવો કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમનની ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ સાથેની બેઠક પરથી જ મળી જાય છે. કોરોના વાઈરસના સતત વધતા જતા જોખમ પર યોજાયેલી ઇન્ડસ્ટ્રી અને ટ્રેડ એસોિસયેશનની બેઠક બાદ નાણાપ્રધાન સીતારમને સાફ શબ્દોમાં જણાવ્યું કે હાલ ભલે કોઈ જોખમ ન હોય, પરંતુ ટૂંકા ગાળા માટે કોરોનાના કારણે મોંઘવારીમાં વધારો થઈ શકે છે. કાચામાલના પુરવઠામાં હાલ કોઈ ઘટ નથી પણ ભવિષ્યમાં તે થઈ શકે છે. તેમણે ભાવવધારાની આગાહી કરતાં કહ્યું કે ટૂંકાગાળા માટે ભાવવધારો થઈ શકે છે, પરંતુ તેનાથી ગભરાવવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે ચીનથી આયાત કરવામાં આવતા કાચામાલના પુરવઠા પર કોરોનાના કેરની માઠી અસર થઈ છે. જે ઉદ્યોગો ચીન પર નિર્ભર છે તેમની ફરિયાદો સરકારને મળી છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં અંદાજે ૪,૦૦૦ જેટલી નાની કંપનીઓ ચીનની આયાત પર જ નિર્ભર છે. ભારતની ૨૮ ટકા આયાતને કોરોનાની અસર થાય તેમ છે. ઇલેક્ટ્રિક મશીનરી, મિકેનિકલ એપ્લાયન્સ, ઓર્ગેનીક કેમિકલ, પ્લાસ્ટિક અને સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટની મોટા પાયે ચીનથી જ આયાત કરવામાં આવે છે.
નિષ્ણાતોના દાવા અનુસાર ભારતીય અર્થતંત્રમાં હાલ ભયંકર સુસ્તીનો માહોલ છે અને આવા સંજોગોમાં હવે ચીનમાંથી ફેલાયેલા કોરોના વાઈરસની પણ ભારતીય અર્થતંત્ર પર માઠી અસર થઈ શકે છે. ચીન ભારતનું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર છે. સત્તાવાર આંકડા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ચીન સાથે ભારતનો વ્યાપાર ૮૬ અબજ ડોલરથી પણ વધુ રહ્યો છે. કેર રેટિંગ્સે આપેલા એક અહેવાલમાં જણાવાયું છે કે ભારત જે માલસામાન મોટા પાયે ચીનમાંથી આયાત કરી રહ્યું છે તેને ટૂંક સમયમાં અન્ય સ્થળેથી આયાત કરવાનો પડકાર ભારત માટે બહુ મુશ્કેલ બની રહેશે. આ ઉપરાંત ચીનના અર્થતંત્રમાં વ્યાપેલી સુસ્તીથી ભારતની નિકાસને પણ ઘણી અસર થઈ શકે છે.
એવું માનવામાં આવે છે કે ઓટો-ટેલિકોમ, ટેક્સટાઇલ-ફાર્મા વગેરે સૌથી વધુ પ્રભાવિત થનારાં સેક્ટર છે. હકીકતમાં એ તમામ ઉદ્યોગો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જે કાચામાલ અથવા ઉપકરણો માટે ચીન પર જ નિર્ભર છે. આ પરિસ્થિતિમાં ભારતની દશા પણ વિશ્વના અન્ય ઘણા દેશો જેવી જ છે.
કોરોના વાઈરસથી સૌથી વધુ અસર મોબાઈલ ફોનના ઉત્પાદન પર જોવા મળી રહી છે. ભારત પોતાના ઈલેક્ટ્રોનિક ગુડ્સનો ૬ થી ૮ ટકા હિસ્સો ચીનને નિકાસ કરે છે, જ્યારે પોતાની જરૂરિયાતનો ૫૦ થી ૬૦ ટકા હિસ્સો ચીનમાંથી આયાત કરે છે. ચીનમાં કોમ્પોનન્ટ ફેક્ટરીઓ બંધ થવાની અસર ભારતમાં અગ્રણી સ્માર્ટફોન કંપનીઓ પર સાફ દેખાવા લાગી છે. સ્ટોક ખોરવાઈ જવાના કારણે શાઓમીએ સ્માર્ટફોન કોમ્પોનન્ટની કિંમત વધવાની આશંકા વ્યક્ત કરી છે, તેનાથી ફોન મોંઘા થશે. રિટેલર્સનું કહેવું છે કે ચીનથી આયાત થનારા આઈફોન-૧૧ અને ૧૧-પ્રો મોડલનો સ્ટોક ટૂંક સમયમાં જ ખતમ થવાનો છે. ઉદ્યોગજગતનું માનવું છે કે ચીનમાંથી સ્ટોક ન મળવાના કારણે આગામી સપ્તાહથી ઘરેલુ બજારમાં હેન્ડસેટનું ઉત્પાદન અટકી શકે છે. નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક ગાળા દરમિયાન સ્માર્ટફોનના વેચાણમાં ૧૦ થી ૧૫ ટકા મોટો ઘટાડો નોંધાઈ શકે છે. ભારતીય ઓટોમોબાઈલ સેક્ટરમાં પહેલાંથી જ મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. મારુતિ સહિત અનેક અગ્રણી વાહન ઉત્પાદક કંપનીઓ ચીનમાંથી કોમ્પોનન્ટ અને રો-મટીરિયલ્સની આયાત કરે છે. સમસ્યા એ પણ છે કે એક મહત્ત્વપૂર્ણ કોમ્પોનેન્ટ સપ્લાયને અસર થાય તો તેની કાર ઉત્પાદન પર અસર ચોક્કસપણે થાય જ. ભારત ઓટો કોમ્પોનન્ટની જરૂરિયાતની ૧૦ થી ૩૦ ટકા આયાત ચીનમાંથી કરે છે. આવા સંજોગોમાં ઓટોમોબાઈલ સેક્ટરનું ઉત્પાદન ઘટશે તે પણ નક્કી છે.
ચીન સાથેની આર્થિક બાબતોના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ કપરી સ્થિતિ આગામી ૧૫-૨૦ દિવસમાં સુધરે તેવી કોઈ શક્યતા નથી. ચીનમાં લાંબા વેકેશન બાદ ધીરે ધીરે કેટલીક ફેક્ટરીઓ ખૂલી છે, પરંતુ ત્યાં પણ ૧૦૦ ટકા ક્ષમતાથી કામ થઈ રહ્યું નથી. મોટા ભાગની કંપનીઓ પાસે પૂરતા કર્મચારીઓ પણ નથી. સ્થિતિ સામાન્ય થતાં ઓછામાં ઓછા ત્રણથી ચાર મહિનાનો સમય લાગી જશે. ભારતીય ઉદ્યોગોએ હવે એ વાત ગંભીરતાથી સમજવાનો સમય આવી ગયો છે કે તેમણે કોમ્પોનન્ટ માટે લાંબા ગાળે આત્મનિર્ભર બનવાની ખૂબ જરૂર છે.