ટીમ ઇન્ડિયાના મિશન વર્લ્ડ કપને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સદી ફટકારી ટીમને જીત અપાવનાર 'ગબ્બર' તરીકે જાણીતા શિખર ધવન ઘાયલ થવાથી ટીમમાંથી બહાર થઇ ગયો છે. શિખર ધવન ત્રણ સપ્તાહ માટે ટીમમાંથી બહાર થયો છે.
પરંતુ અંગુઠામાં ફ્રેક્ચરને કારણે લાગી રહ્યું છે કે હવે વર્લ્ડ કપમાં તેમની વાપસી મુશ્કેલ છે. ધવનના બહાર થતા જ સૌથી મોટો સવાલ ઉભો થયો છે ટીમ ઇન્ડિઆની ઓપનિંગનો. ટીમમાં ઓપનિંગ કોણ કરશે અને ચોથા નંબર પર કોણ રમશે.
આપને જણાવી કે શિખર ધવન ટીમમાંથી બહાર થયો છે ત્યારે સવાલ ઉભો થયો છે કે ઓપનિંગ કોણ કરશે. જો ટીમનું કોમ્બિનેશન જોઇએ તો કેએલ રાહુલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. રાહુલ આ પહેલા પણ ઓપનિંગ કરી ચૂક્યા છે. IPL અને ટેસ્ટ સિરીઝમાં પણ રાહુલે ઓપનિંગ કર્યું છે.
આમ, 13 જૂને યોજાનારી ન્યુઝીલેન્ડ વિરુદ્ધ મેચમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા કેએલ રાહુ ઉતરી શકે છે. હાલ રાહુલ ચોથા નંબરે રમી રહ્યો છે. પરંતુ બીજો મોટો સવાલ એ છે કે જો રાહુલ ઓપનિંગ કરશે તો ચોથા નંબરે કોણ રમશે. હજુ સુધી બંને મેચમાં ભારતે પોતાની ટીમ નથી બદલી.
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ દિનેશ કાર્તિક, વિજય શંકર અને કેદાર જાધવ ચોથા નંબરે રમતા જોવા મળી શકે છે. કેદાર જાધવ હાલ મહેન્દ્ર સિંહ ધોની બાદ છઠ્ઠા નંબરે રમતા જોવા મળી રહ્યા છે. આપને જણાવીએ કે, વિજય શંકર ટીમમાં નવા ખેલાડી છે. એવામાં વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં તેમને તક મળે છે કે નહીં તેના પર સવાલ ઉભા થઇ શકે છે. બીજી તરફ દિનેશ કાર્તિક પણ ટીમમાં અંદર બહાર થતા રહ્યો છે.
જો એ વાતની પુષ્ટી મળે છે કે શિખર ધવન ટૂર્નામેન્ટથી બહાર થઇ જાય છે. તો બીસીસીઆઇ તરફથી તેમનું રિપ્લેસમેન્ટ પણ માંગી શકાય છે. આ હિસાબે ધવનના ટીમ સ્કૉડથી બહાર થવા પર શ્રેયસ અય્યર અને ઋષભ પંત જેવા ખેલાડીઓને તક મળી શકે છે. બંને ખેલાડીઓને IPL અને ઘરેલૂ ક્રિકેટમાં સારુ પ્રદર્શન કર્યું હતું. તથા ટીમને જીત અપાવી હતી.