સીનિયર ઑફ સ્પિનર હરભજન સિંહે કહ્યુ કે, મહેન્દ્ર સિંહ ધોનીની જન્નાટેદાર શોટ મારવાની કળા હજુ પણ એવી જ છે અને ભારતીય ટીમ મેનેજમેન્ટને વર્લ્ડ કપ દરમિયાન શરૂથી જ આક્રમણ કરવા માટે ઉતારવો જોઈએ.
સામાન્ય રીતે એવું જોવા મળે છે કે ધોની આક્રમક બનતાં પહેલા પીચ પર થોડો સમય પસાર કરે છે પરંતુ હરભજન ઈચ્છે છે કે તે શરૂઆતથી જ વિરોધી ટીમ પર બેટિંગ દ્વારા આક્રમણ કરે.
હરભજને કહ્યું કે,’મને લાગે છે કે ધોની પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ત્યારે જ કરે છે જ્યારે તે શરુઆતથી જ આક્રમક રમવાનું ચાલું કરી દે છે. તેની જે પણ સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ આવી છે તેમાં તેણે શરુઆતથી જ વિરોધી ટીમ પર આક્રમક વલણ અપનાવ્યું છે. મને લાગે છે કે ટીમ મેનેજમેન્ટે તેને અને હાર્દિક પંડ્યાને મન પડે તેમ જ બેટિંગ કરવાની છૂટ આપવી જોઈએ. કોઈ જ પ્રતિબંધ નહીં’
હરભજનનું માનવુ છે કે, ''ટોપના ક્રમના બેટ્સમેન શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી અને લોકેશ રાહુલ સારી ઈનિંગ રમી શકે છે. આ કારણે જ ધોની આક્રમક રમવા માટે આઝાદ છે.''
જોકે, જ્યારે તેને એવું પૂછવામાં આવ્યું કે મધ્યમ ઓવરમાં મિશેલ સેન્ટનર અથવા નાથન લાયન બોલિંગ કરે તો તેણે કહ્યું કે,''હું એ જ કહેવા ઈચ્છું છું કે ધોની કોઈપણ સ્પિનરના બીજા બોલ પર સિક્સર ફટકારી શકે છે. તેને એવું જ કરવું જોઈએ. અને તે એવું કરી પણ શકે છે. કારણકે મેં તેને ચેન્નઈ સુપરકિંગ્સના નેટમાં પ્રેક્ટિસ કરતાં જોયો છે.''
હરભજન ઈચ્છે છે કે, ''ધોનીની એ જ આક્રમક શૈલી જળવાઈ રહે. જેવી રીતે વિરેન્દ્ર સેહવાગની ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ વર્ષો દરમિયાન રહેતી હતી.''
ભારતના મહાન સ્પિનરોમાંથી એક હરભજને કહ્યું કે,''હું તમને જણાવી શકું છું કે એક બોલરનું મગજ કેવી રીતે કામ કરતું હોય છે. માની લો કે હું કેવિન પીટરસન અને ઈયાન બેલ સામે બોલિંગ કરી રહ્યો છું. તો હું બેલની સરખામણીમાં પીટરસનથી વધારે ચિંતિત હોઈશ. હું કેપીને બે ડોટ બોલ ફેંકી શકું છું. જોકે, તેની પાસે એવી શૈલી પણ છે કે મને સિક્સર ફટકારી શકે છે. જ્યારે બેલ એક-એક રન માટે જ રમશે. ધોની પણ કેપીની જેમ જ બોલર્સને ભયભીત કરી દે છે. તેનો દબદબો એવો જ છે.''
30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થનારા 12માં વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા પોતાની પહેલી મેચ 5 જૂનના સાઉથ આફ્રિકા સામે સાઉથેમ્પ્ટનમાં રમશે. આ પહેલા ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે 1-1 વૉર્મ અપ મેચ રમશે.