૧૭૫૦માં ઈંગ્લેન્ડની ધરતી પર હેમલ્ડન ક્લબમાં પહેલી વાર ક્રિકેટની રમત રમાઈ હતી અને ૧૯૭૫માં પહેલી વાર ઈંગ્લેન્ડની ધરતી પર આ રમતનો વિશ્વકપ રમાયો, પરંતુ આજ સુધી ક્રિકેટનો જનક એક પણ વાર વિશ્વ વિજેતા ટ્રોફી જીતી શક્યો નથી. ૧૯૭૯, ૧૯૮૭ અને ૧૯૯૨માં ઈંગ્લેન્ડની ટીમ ખિતાબની નજીક પહોંચી, પરંતુ વિન્ડીઝ, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાને તેનું સપનું સાકાર થવા દીધું નહીં.
ઈંગ્લેન્ડની ટીમ ચોથી વાર વિશ્વકપની ફાઇનલમાં પહોંચી છે અને પોતાની ધરતી પર દુનિયાના સૌથી જૂના ક્રિકેટ સ્ટેડિયમમાં તેમની પાસે ખિતાબ જીતવાની સૌથી મોટી તક છે. જોકે કેન વિલિયમ્સનની ટીમ દુનિયાની નંબર વન ટીમને એમ આસાનીથી જીતવા નહીં દે, કારણ કે બીજી વાર ફાઇનલમાં પહોંચેલી ન્યૂઝીલેન્ડની ટીમ પણ ખિતાબને પ્રથમ વાર પોતાના નામે કરવા માટે જીવ સટોસટની બાજી લગાવી દેશે.
૧૮૧૪માં બનેલા દુનિયાના સૌથી જૂના સ્ટેડિયમ લોર્ડ્સમાં લાલ પથ્થરોથી બનેલી જૂની ઇમારતની બાલકનીમાં વિશ્વકપની ટ્રોફી લહેરાવવી દરેક કેપ્ટનનું સપનું હોય છે. ૧૯૭૫ અને ૧૯૭૯માં ક્લાઇવ લોઇડ, ૧૯૮૪માં કપિલ દેવ અને ૧૯૯૯માં સ્ટીવ વો આ બાલકનીમાં ટ્રોફી ઉઠાવી, પરંતુ ઈંગ્લેન્ડનો કોઈ કેપ્ટન એવું કરી શક્યો નથી.
જે કામ માઇક ડેનિસ, માઇક બ્રિયર્લી, બોબ વિલિસ, માઇક ગેટિંગ, ગ્રેહામ ગૂચ, માઇકલ આર્થટન, એલિસ્ટર કૂક, માઇકલ વોન અને નાસિર હુસેન જેવા દિગ્ગજ કેપ્ટન કરી શક્યા નથી એ કામ હવે ઇયોન મોર્ગન કરી શકે છે. આંકડા પણ કંઈક આવું જ કહી રહ્યા છે, કારણ કે ઈંગ્લેન્ડે છેલ્લી ત્રણ મેચમાં ભારત, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે.
બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ ભારત સામે સેમિફાઇનલ મુકાબલો જીત્યા પહેલાં પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે હારી ગઈ હતી, એટલે કે ફોર્મ ઇંગ્લિશ ટીમનું સારું છે.
આ ઉપરાંત ઈંગ્લેન્ડની ટીમને પોતાની ઘરેલુ પરિસ્થિતિઓનો ફાયદો થવાનો જ છે. કોઈ ટૂર્નામેન્ટ ભલે આઇસીસી યોજી રહી હોય, પરંતુ મેદાન કર્મીઓનો ઝુકાવ પોતાના દેશની ટીમ તરફ જ હોય છે. આ વખતે ઈંગ્લેન્ડની ટીમ ઘણી મજબૂત છે, આથી જ તેને ટ્રોફી જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.