ઇંગ્લેન્ડમાં યોજાઇ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં સેમિફાઇનલની તસવીરો લગભગ સ્પષ્ટ થઇ ચૂકી છે. ચારમાંથી 3 ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાઇ કરી ચૂકી છે જ્યારે ચોથી ટીમ ન્યૂઝીલેન્ડ આ પહેલા દરવાજે ઊભી છે.
ઉલ્લેખનીય છે કે, સેમિફાઇનલ માટે ક્વૉલિફાઇ થનારી સૌથી પ્રથમ ટીમ હતી ઑસ્ટ્રેલિયા. તે હાલમાં પૉઇન્ટ ટેબલમાં શીર્ષસ્થાને છે. ત્યારબાદ ભારતે અંતિમ ચારમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે અને પોઇન્ટ ટેબલમાં ભારત બીજા નંબર પર છે.
ત્યારબાદ ન્યૂઝીલેન્ડને પછડાટ આપીને યજમાન ટીમ ઇંગ્લેન્ડે સેમિફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. 12 અંક પ્રાપ્ત કરીને ઇંગ્લેન્ડ ત્રીજા નંબરે છે, જ્યારે ન્યૂઝીલેન્ડના 11 અંક છે અને તેનું સ્થાન પણ લગભગ સેમિફાઇનલમાં નક્કી જ છે.
ન્યૂઝીલેન્ડને સેમિફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરવા માટે શુક્રવારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે યોજાનારી મેચ પર નજર રાખવી પડેશે. હાલ પાકિસ્તાનને 8 મેચમાં 9 અંક પ્રાપ્ત થયેલા છે. જો તે બાંગ્લાદેશને હરાવે છે તો ન્યૂઝીલેન્ડની સાથો-સાથ 11 અંક થઇ જશે. જોકે, નેટ રનરેટ મામલે ન્યૂઝીલૅન્ડ પાકિસ્તાનથી ઘણું આગળ છે. ન્યૂઝીલૅન્ડની નેટ રનરેટ +0.175 છે, જ્યારે પાકિસ્તાનની નેટ રનરેટ -0.792 છે.
સેમિફાઇનલની જંગ
ટોપ ચાર ટીમના નામ નક્કી થઇ ગયા બાદ હવે આ વિશ્વકપની સાચી લડાઇની રાહ છે. જ્યારે પૉઇન્ટ ટેબલની ટૉપની ચાર ટીમો એકબીજા સાથે ટકરાશે. સેમિફાઇનલની આ જંગ એટલા માટે મહત્વની છે કારણ કે, અહીં મળેલી હાર સીધું જ વિશ્વકપ બહાર કરી દેશે. આ કારણ છે કે, સેમિફાઇનલમાં કઇ ટીમ કોની સાથે ટકરાય છે. પહેલા સમજી લઇએ કે, સેમિફાઇનલમાં કઈ પોઝિશનની ટીમ કોની સાથે ટકરાશે.
ઉલ્લેખનીય છે કે, ટોપ ચારમાં જે ટીમ સૌથી ઉપર રહેવા પામે છે તેનો મુકાબલો ચોથા નંબરની ટીમ સાથે થતો હોય છે. જ્યારે બીજા નંબરની ટીમને ભાગે ત્રીજા નંબરની ટીમ સાથે રમવાનું આવે છે.
ભારતનો મુકાબલો કોની સાથે..?
જો પોઇન્ટ ટેબલમાં ટોચની ચાર મોજૂદ ટીમના સ્થાનમાં કોઈ પણ પ્રકારનો બદલાવ ન થાય તો ભારતનો મુકાબલો ઇગ્લેન્ડ સાથે થશે. આ તરફ બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડ આમન-સામને હશે. આ સમીકરણ ભારત માટે ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ બનાવી શકે છે. લીગ મૅચમાં ભારત એકમાત્ર ઇંગ્લેન્ડ સામે મેચ હાર્યું છે.
ઉલ્લેખનીય છે કે, જો ભારત પોતાની અંતિમ મેચમાં શ્રીલંકા સામે જીત હાંસલ કરે છે અને ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા સામે હારી જાય છે, તો ભારતના અંક 15 થઈ જશે અને તે પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરશે. આવી પરિસ્થિતિમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઇનલમાં રમવું પડશે. જે ભારત માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે, લીગ મેચમાં ભારતનું પ્રદર્શન ન્યૂઝીલેન્ડ કરતા ઉત્તમ રહ્યું છે.
જો કે, લીગના અંતિમ મેચમાં ભારત તથા ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ્દ થઇ હતી. આ મેચમાં એકપણ બોલ નાંખી શકાઇ નહોંતી. એવામાં બંન્ને ટીમને આ વર્લ્ડ કપમાં પ્રથમ વખત એક-બીજાનો સામનો કરશે.