ભારતમાં વાયુ પ્રદુષણ એક મોટી સમસ્યા છે જેમાં વાહનોમાંથી નીકળતા ધુમાડા જવાબદાર છે. ત્યારે હવે ભારતમાં પણ સૌથી સ્વચ્છ ઈંધણ ઉપલબ્ધ થઇ ગયું છે. ભારતમાં ગઈકાલથી નવા માપદંડો અનુસાર સ્વચ્છ પેટ્રોલ ડીઝલનું વેચાણ શરુ કરી દેવામાં આવ્યું છે.
બધા જ પેટ્રોલ પંપ પર સ્વચ્છ ઈંધણનું વેચાણ શરુ
પેટ્રોલ-ડીઝલના ભાવ પર નહીં પડે કોઈ ફરક
ક્રુડ ઓઈલનાં ભાવ તળિયે હોવાથી અત્યારે ભાવ ન વધારવાનો નિર્ણય
ભારત હવે એવા દેશોમાં સામેલ થઇ ગયું છે કે સૌથી સ્વચ્છ પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરે છે. નવા આર્થિક વર્ષની શરૂઆત બાદ ઓઈલ કંપનીઓએ નવા યુરો-6 માપદંડો પ્રમાણે પેટ્રોલ અને ડીઝલની સપ્લાય શરુ કરી દીધી છે.
યુરો 6ના માપદંડો ધરાવતું ઓઈલ સૌથી ઉચ્ચ કક્ષાનું માનવામાં આવે છે. આ કક્ષાનું પેટ્રોલ ડીઝલ વાપરવાથી વાયુ પ્રદૂષણમાં ઘટાડો લાવી શકાય છે. ભારત જેવા દેશમાં જ્યાં મહાનગરોમાં વાયુ પ્રદુષણ એક મોટી સમસ્યા છે ત્યાં આ પેટ્રોલની મદદથી ખૂબ મદદ મળશે.
અહેવાલો મુજબ આ નવા પેટ્રોલના કારણે એક લીટર પર એક રૂપિયાનો વધારો થવો જોઈએ પરંતુ હાલ તો કંપનીએ કોઈ જ મૂલ્ય વધાર્યા વગર જ આ પેટ્રોલ અને ડીઝલનું વેચાણ શરુ કરી દીધું છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલની કિંમત અત્યારે 17 વર્ષના તળિયે છે. જે બાદ આ કંપનીઓએ ભાવ ન વધારવાનો નિર્ણય લીધો છે.
દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલના ચેરમેને કહ્યું કે કંપનીએ બધા ક પેટ્રોલ પંપ પર સૌથી શુદ્ધ પેટ્રોલના વેચાણનું કાર્ય શરુ કરી દીધું છે અને તેનાથી પેટ્રોલનાં ભાવમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.