વર્ષ 2022-23ના કેન્દ્ર સરકારના બજેટમાં ગુજરાતને લઇને એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર ગિફ્ટસિટીમાં વર્લ્ડ ક્લાસ ફિનટેક યુનિવર્સિટી બનાવવામાં આવશે. જેને ડોમેસ્ટિક રેગ્યુલેશન (નિયમો)થી મુક્ત રાખવામાં આવશે અને ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ વિકસાવવામાં આવશે. આ યુનિવર્સિટી ફિનટેક-ટેક્નિકલ અને મેનેજમેન્ટ કોર્સ ઓફર કરી શકશે. તેમજ ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર પણ શરુ કરવામાં આવશે. આથી હવે ગિફ્ટ સિટી ફાયનાન્સની સાથે સાથે શિક્ષણક્ષેત્રે પણ મહત્વનુ યોગદાન આપશે
સાયન્સ ટેક પર મુકાશે ભાર
બજેટમાં નિર્મલા સીતારમણે બજેટ 2022-23માં જાહેરાત કરતા જણાવ્યુ કે ગાંધીનગરમાં ફિનટેક, સાયન્સ ટેક , એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ ક્ષેત્રે નવી યુનિવર્સિટીઝ અને ઇન્સ્ટિટ્યૂટ ગિફ્ટ સિટીમાં સ્થપાશે એવી જાહેરાત કરી છે, જેને પગલે ફિનટેક અને સાયન્સ ટેક્નોલોજી પર ભાર મૂકવામાં આવશે. આ સાથે જ ફોરેન કંપનીઓને ગાંધીનગર ગિફ્ટ સિટીમાં તેમના યુનિટ સ્થાપવામાં પ્રોત્સાહન મળશે. આમ, ડોમેસ્ટિક રેગ્યુલેશન મુક્ત નવી યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટ ગિફ્ટ સિટીમાં કાર્યરત થઇ શકશે.
આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન સેન્ટર પણ શરુ કરવામાં આવશે
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે ઇન્ટરનેશનલ જુરિડિક્શનમાં આવતા કેટલાક વિવાદનો સમયસર ઉકેલ લાવવા ગાંધીનગર ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન સેન્ટર શરૂ કરાશે, જેને પગલે ગિફ્ટ સિટીના IFSCમાં સ્થપાયેલી કંપનીઓ સાથે જો કોઇ વિવાદ થાય તો આ ઓથોરીટિની મદદથી ઝડપી વિવાદ ઉકેલ આવી શકે છે.
ટેક્નોલોજી-ફાઇનાન્સને લગતા અભ્યાસમાં થશે ફાયદો
ગાંધીનગર ગિફ્ટ સિટી IFSCના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દીપેશ શાહના જણાવ્યાનુસાર નાણામંત્રીએ કરેલી જાહેરાતને પગલે ફિનટેક ક્ષેત્રે મોટી જાણીતી ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટી આવશે તો ટેકનોલોજી અને ફાયનાન્સનો સમન્વય થશે જેના કારણે અભ્યાસ ક્ષેત્રે ફાયદો મળશે. તો આર્બિટ્રેશન સેન્ટર શરુ થવાથી કામગીરી અટકી પડવાને પગલે જે-તે વિવાદ કે નવી બાબત આવે તો એનો ઓથોરિટીથી ઉકેલ લાવી શકશે.
IFSC શું છે?
IFSC એ એક એવી સંસ્થા છે જે વ્યાપારીઓને ખાસ કરીને વિદેશના બિઝનેસમેનને, તેમની કંપનીઓને અને સરકારોને બિઝનેસ કરવામાં સરળતા રહે તે માટે એસેટ મેનેજમેન્ટ, વેલ્થ મેનેજમેન્ટ, વિવિધ ફંડમાં રોકાણ, રિસ્ક મેનેજમેન્ટ, ઇન્શ્યોરન્સ વગેરે જેવી નાણાકીય સેવાઓ આપે છે.
2006થી ચાલી રહી હતી ચર્ચા
નોંધનીય છે કે 2006માં વડાપ્રધાન મનમોહન સિંહનો ઈરાદો મુંબઈની ભૌગોલિક સ્થિતિનો લાભ લઇને ત્યાં IFSC શરુ કરવાનો હતો કારણ કે મુંબઈ એ વિશ્વના અન્ય બે IFSC સિંગાપોર અને લંડનની બરાબર વચ્ચે આવેલું છે. આ માટે દેશના જાણીતા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર પર્સી મિસ્ત્રી પાસેથી સૂચનો લેવામાં આવ્યા હતા પણ આખરે તેમની ઉપર કોઈ અમલીકરણ થયું નહોતું. ત્યાર બાદ મહારાષ્ટ્રની ભાજપ સરકારે મુંબઈની IFSC હેડક્વાર્ટરને ફાળવાયેલી જગ્યામાં બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેઈન ટર્મિનલ બનવાની શરૂઆત કરી દેવાઈ હતી. જો કે 2020ના એપ્રિલ મહિનામાં કેન્દ્ર સરકારે એક પરિપત્ર જાહેર કરીને સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે દેશના IFSC ઓથોરિટીનું હેડક્વાર્ટર ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં રહેશે. આ સાથે દેશના આર્થિક પાટનગર ગણાતા મુંબઈમાં આ હેડક્વાર્ટર બનશે તેવી અટકળોનો અંત આવ્યો હતો.