કોરોના વાયરસના કારણે વિશ્વની અર્થવ્યવસ્થાને જબરદસ્ત ઝટકો લાગ્યો છે. જેમાં હવે વર્લ્ડ બેંક દ્વારા ભારતનાં અર્થતંત્રને લઇ મોટો ઝટકો આપવામાં આવ્યો છે,. વર્લ્ડ બેંકનું કહેવું છે કે કોરોના વાયરસના કારણે ભારતના અર્થતંત્રને જોરદાર ઝટકો લાગશે જે બાદ આર્થિક વૃદ્ધિદરમાં કડાકો જોવા મળશે.
કોરોનાથી ભારતના અર્થતંત્રને લાગશે ફટકો
વર્ષ 2020-21માં આર્થિક વૃદ્ધિદર 1.5થી 2.8%
લોકડાઉન લંબાશે તો વધુ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થશે
વર્લ્ડ બેંક દ્વારા ભારતનાં અર્થતંત્ર પર અહેવાલમાં આર્થિકવૃદ્ધિ દરમાં ભારે ઘટાડો કર્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2020-21માં તુલનાત્મક આધાર પર ભારતની અર્થવ્યવસ્થાની આર્થિક વૃદ્ધિદર 1.5થી 2.8 ટકા જ રહી જશે.
નોંધનીય છે કે ભારતીય અર્થતંત્ર પહેલેથી મંદ ગતિમાં હતું એમાં પણ કોરોના વાયરસના કારણે પડતા પર પાટું જેવા હાલ થયા. કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવી પડી. આ જાહેરાતના કારણે દેશની ફેક્ટરી અને ઉદ્યોગ પર તાળા લાગી ગયા. આ સિવાય જાહેર પરિવહન બંધ થઇ જતા પણ મોટું નુકસાન ભોગવવું પડ્યું.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઘરેલું માંગ ઘટી જવાના કારણે વર્ષ 2020-21ની આર્થિક વૃદ્ધિદર ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થઇ છે. તથા આ બીમારી વિશ્વ સ્તર પર ફેલાઈ હોવાના કારણે રોકાણમાં પણ અડચણો આવશે.
પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન વર્લ્ડ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી હેન્સ ટીમરે કહ્યું કે ભારતનું પરિદ્રશ્ય સારું નથી. સાથે જ જો ભારત આ લોકડાઉન લંબાવે છે તો પરિણામ આ અનુમાન કરતા પણ વધારે ખાતરનાક હોઈ શકે છે.
તેમણે ભારતને સલાહ આપી કે જો આ બીમારી સામે જીતવું હોય તો પહેલાં આ બીમારીને ફેલાવતા અટકાવી પડશે અને બધાને ભોજન મળી શકે તે સુનિશ્ચિત કરવું પડશે. ટીમરે કહ્યું કે આ સિવાય ભારતે રોજગાર સંબંધી કાર્યક્રમ કરવા પડશે.