રાજકોટમાં મોબાઈલના ચાર્જરમાંથી વીજ શોક લગતા કારખાનામાં કામ કરતાં શ્રમિકનું મોત નીપજ્યું છે.
રાજકોટમાં મોબાઈલ ચાર્જરથી વીજકરંટ લાગતા મૃત્યુ
કુવાડવાના સાતડા વિસ્તારમાં કારખાનામાં દુર્ઘટના
મોબાઈલ ચાર્જર પ્લગમાં ભરાવતા લાગ્યો વીજકરંટ
માનવ જીવનનો મહત્વનો ભાગ બની ગયેલો મોબાઈલ અનેક વખત ઉપાધિનું ઘર બન્યો હોવાના પણ ભૂતકાળમાં અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. જેમાં મોબાઈલ ચાર્જરથી વીજ કરંટ લગતા કારખાનાના એક શ્રમિકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસે દોડી જઈ નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ મોબાઈલ ચાર્જ કરતી વેળાએ બેદરકારી દાખવતાં લોકોએ ચેતવું જરૂરી બન્યું છે.
કારખાનામાં ફેબ્રિકેશનનું કામ કરતા શ્રમિકનું મૃત્યુ
રાજકોટ શહેરના કુવાડવા ખાતે આવેલા સાતડા વિસ્તારમાં કરુણાંતિકા સામે આવી છે. સાતડા વિસ્તારમાં ફેબ્રિકેશનના કારખાનામાં દુર્ઘટના સર્જાઇ છે. કારખાનામાં ફેબ્રિકેશનનું કામ કરતા શ્રમિકના મોબાઈલની બૅટરી પતી જતા તે ચાર્જ કરવા માટે કારખાનામાં અંદર ગયો હતો. જ્યાં મોબાઈલ ચાર્જર ઇલેક્ટ્રિક પ્લગમાં લગાવતાની સાથે જ શ્રમિકને જોરદાર વીજકરંટનો અનુભવ થયો હતો એન વીજ આંચકામાં ભોગગ્રસ્ત યુવાને બુમાં-બૂમ કરતાં આજુ-બાજુ કામ કરતાં શ્રમિકો દોડી ગયા હતા. જે દરમિયાન શ્રમિક જમીન પર પટકાયો હતો. જ્યાં તપાસ કરતાં કામદારોને સમગ્ર ઘટનાની જાણ થઇ હતી.
પોલીસ સ્ટાફ તપાસ અર્થે દુર્ઘટના સ્થળે દોડી ગયો
જે દુર્ઘટનાને પગલે શ્રમિકને તાબડતોબ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આ દરમિયાન ફરજ પરના તબીબે યુવાનને તપાસીને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ આ મામલે જાણ થતાં સ્થાનિક પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પોલીસ સ્ટાફ તપાસ અર્થે દુર્ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં ઉપસ્થિત લોકોના નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
મોબાઈલ ચાર્જ કરતી વેળાએ બેદરકારી દાખવતાં લોકોએ ચેતવું
મહત્વનું છે કે ભૂતકાળમાં પણ અનેક વખત આવા કિસ્સાઓ બન્યા હોવાથી જીવ માટે જોખમી સાબિત થાઈ તેવી બેદરકારી ત્યજવી જોઈએ. હાલ મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે. મોબાઈલના સતત ઉપયોગને કારણે તેની બેટરી પણ જલદી ખતમ થઈ જાય છે. આથી મોબાઈલને ચાર્જ કરવો પડે છે. ત્યારે મોબાઈલ ચાર્જ કરતી વખતે હંમેશા ઓરિજિનલ ચાર્જરનો જ ઉપયોગ કરવો જોઈએ. સતત ફોન ચાર્જિંગ કરવાનું ટાળવું જોઈએ. સહિતની બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.