ખેડૂત આંદોલન ફક્ત કૃષિ નીતિ સંબંધિત નથી. તે ધાર્મિક લઘુમતી પરનો જુલમ છે
મને આ આંદોલનમાંથી દૂર રહેવાનું કહેવાની કોઈ જરુર નથી
અમેરિકી ઉપપ્રમુખ કમલા હેરિસની ભત્રીજી, વકીલ અને લેખક તરીકે ખ્યાતનામ મીના હેરિસે એવું જણાવ્યું કે ખેડૂત આંદોલનને સમર્થન કરવા બદલ ભારતમાં મારી સામેના વિરોધ છતાં પણ હું ડરવાની નથી કે મને બોલતા પણ કોઈ નહીં રોકી શકે.
મિના હેરીસની આ પ્રતિક્રિયા તેમની તસવીર બાળવાની ઘટના બાદ સામે આવી છે.
મીના હેરિસે ખેડૂત આંદોલનના ટેકામાં શનિવારે સંખ્યાબધ ટ્વિટ કર્યાં. એક ટ્વિટમાં હેરિસે કહ્યું કે ખેડૂત આંદોલન એ કંઈ ફક્ત કૃષિ નીતિ સંબંધિત નથી. તે ધાર્મિક લઘુમતી પરના જુલમની પણ વાત છે. આ પોલીસ હિંસા, આતંકી રાષ્ટ્રવાદ અને શ્રમિક પરના હુમલા છે. આ વૈશ્વિક તાનાશાહી છે. મને આ આંદોલનમાંથી દૂર રહેવાનું કહેવાની કોઈ જરુર નથી. આ અમારી પણ વાત છે.
બીજા એક ટ્વિટમાં હેરિસે કહ્યું કે, ઝનુની ટોળા દ્વારા સળગાવાયેલી મારી તસવીર જોઈને આઘાત લાગ્યો પરંતુ કલ્પના કરો કે જો આપણે ભારતમાં રહેતા હોત તો આ ઝનુની ટોળાએ આપણું શું કર્યું હોત. હું તમને જણાવું છું કે લેબર રાઈટ એક્ટિવિસ્ટ નોદીપ કૌરની ધરપકડ કરવામાં આવી, પોલીસની કસ્ટડીમાં તેમની પર જુલમ ગુજારાયો અને તેમનું યૌન શોષણ કરવામાં આવ્યું છે. છેલ્લા 20 દિવસસથી તેમની અટકાયત કરાઈ છે અને તેમને જામીન પણ અપાયા નથી.
ત્રીજા એક ટ્વિટમાં મીના હેરિસે કહ્યું કે, શા માટે તમામ હેડલાઈન્સમાં કહેવાયું છે કે બહાદુર ભારતીયોએ ખેડૂતોને ટેકો આપનાર મહિલાની તસવીર સળગાવી.
ઉલ્લેખનીય છે કે હજુ થોડા સમય પહેલા મીના હેરિસને કોઈ ઓળખતું પણ નહોતું પરંતુ જ્યારથી મિના હેરિસે ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કર્યું ત્યારથી ભારતમાં તેમની પર માછલા ધોવાઈ રહ્યાં છે. આંદોલન તરફી લોકો મીનાને હીરો ગણાવી રહ્યાં છે તો આંદોલનનો વિરોધ કરનાર લોકો મીનાને વીલન ચીતરી રહ્યાં છે.