વડોદરાની પ્રેરણા સાથે દુષ્કર્મ કેસમાં હવે OASIS સંસ્થા પર ગંભીર આક્ષેપ લાગ્યા છે. આ આક્ષેપ મહિલા સુરક્ષા સમિતિના ચેરપર્સન શોભના રાવલે લગાવ્યા છે. તેમણે કહ્યું કે સંસ્થાની ભૂમિકા શંકાસ્પદ છે.
વડોદરાની મહિલા આગેવાનનો OASIS સંસ્થા પર ગંભીર આરોપ
યુવતીએ આત્મહત્યા નથી કરી, તેની હત્યા થઇ છે: શોભના રાવલ
સંસ્થાના લોકોએ જ યુવતીના ડાયરીના પન્ના ફાડ્યાઃ શોભના રાવલ
મહિલા સુરક્ષા સમિતિના શોભના રાવલે ગંભીર આરોપ કરતા કહ્યું કે, યુવતીએ આત્મહત્યા નથી કરી, તેની હત્યા થઇ છે. પોલીસ હત્યાની થિયરી પર તપાસ કેમ નથી કરતી. યુવતીના મોત પછી OASISના સંચાલકો ચૂપ કેમ છે. OASISને વડોદરા પોલીસ બચાવી રહી છે. આત્મહત્યા નહીં હત્યાની થિયરી પર તપાસ થાય. સંસ્થામાં IPS અધિકારીઓની ભાગીદારીને લઈને પણ તપાસ થવી જોઈએ. નેતા અને અધિકારીઓ આ સંસ્થા સાથે સંકળાયેલા છે. OASIS અને તેના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે. યુવતીના માતાના આરોપ પછી પણ પોલીસ તપાસ કરતી નથી. ટ્રેનના ડબ્બામાં આત્મહત્યા થાય તે માનવામાં નથી આવતું.
ભૂતકાળ સંસ્થામાં સુરુચિ ભંગ થાય એ રીતે યુવક-યુવતી ફરતા હોવાનો આક્ષેપ
શોભના રાવલે જણાવ્યું કે સંસ્થાના લોકોએ જ યુવતીની ડાયરીના પન્ના ફાડ્યા હોઈ શકે. તેમને સવાલ કરતા પૂછ્યું કે આખરે આવું કરવાની શું જરૂર પડી? ડાયરીના પન્ના કોણે અને શા માટે ફાડ્યા? OASIS સંસ્થાના લોકો શું છુપાવી રહ્યા છે? પ્રેરણા સાથે દુષ્કર્મ બાદ સંસ્થાએ મદદ કેમ ન કરી? ભૂતકાળમાં વિવાદ થતાં સંસ્થાનું બિલ્ડિંગ તોડી પડાયું હતું. કેમ કે ત્યાં સુરુચિ ભંગ થાય એ રીતે યુવક-યુવતી ફરતા હતા. શોભના રાવલે જણાવ્યું કે પ્રેરણાએ સંસ્થાને ફોન કર્યો તો કેમ કોઈએ જવાબ ન આપ્યો. આરોપીઓ કોના સગા થાય છે તે તપાસ નથી થઈ રહી.
પોલીસ ઝડપથી ગુનેગારોને ઝડપી લેશે: શોભનાબેન રાવલ
સંસ્થાની ભૂમિકા શંકાસ્પદ છે. સંસ્થા અગાઉ પણ વિવાદમાં રહી છે. અન્ય યુવતીઓ પર સંસ્થાનું દબાણ છે. પોલીસ ઝડપથી ગુનેગારોને ઝડપી લેશે તેવો વિશ્વાસ છે.
સંસ્થા દ્વારા તપાસમાં સહયોગ નથી અપાતોઃ પોલીસ કમિશનર
વડોદરા શહેર પોલીસ કમિશનર શમશેરસિંહે આ મામલે કહ્યું કે, સંસ્થા વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. યુવતીઓનું બ્રેઇનવોશ કરવામાં આવતુ હોવાની ફરિયાદો મળી છે. ACP ક્રાઈમને તપાસ સોંપવામાં આવી છે. વાલીઓ સાથે યુવતી જવા તૈયાર ન હોવાની ફરિયાદ મળી છે. સંસ્થા દ્વારા તપાસમાં સહયોગ નથી અપાતો. સંસ્થા દ્વારા પોલીસને કોઈ જાણ નહોતી કરાઈ.
'પ્રેરણા' સાથે દુષ્કર્મની વાત સંસ્થાએ છુપાવી હોવાનો માતા-પિતાનો આરોપ
વડોદરામાં પ્રેરણા પર દુષ્કર્મ કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે પ્રેરણા જે સંસ્થામાં ફરજ બજાવતી હતી તેના પર ગંભીર આક્ષેપ થયા છે. સંજીવ શાહ ઓએસીસના ટ્રસ્ટી છે. અને પ્રેરણાના પરિવારજનોએ સંસ્થા પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. સંસ્થાએ દુષ્કર્મની વાત છુપાવી હોવાનો પરિવારે આરોપ કર્યો છે. 3 નવેમ્બરે પ્રેરણાએ છેલ્લો મેસેજ ટ્રસ્ટી સંજીવ શાહને કર્યો હતો. પોલીસે હાલ સંસ્થાની ટ્રસ્ટી પ્રિતી નાયરની પૂછપરછ કરી છે. જ્યારે સંજીવ શાહ હજુ સુધી સામે નથી આવ્યા. સવાલ એ છે કે પ્રેરણા સાથે દુષ્કર્મની જાણ હતી તો સંસ્થાએ આખરે મદદ કેમ ન કરી.
ખોટી રીતે સંસ્થાને બદનામ કરાઇ રહી છેઃ સમર્થકો
કેટલાક સમર્થકો વડોદારાની વિવાદાસ્પદ OASIS સંસ્થાના બચાવમાં આવ્યા છે. OASIS સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ અને વાલી પહોંચ્યા CP ઓફિસે પહોંચ્યા છે. સંસ્થાને ખોટી રીતે બદનામ કરાતી હોવાનો સમર્થકો દાવો કરી રહ્યા છે. સમર્થકોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. પ્રેરણા સાથે સામુહિક દુષ્કર્મ અને મૃત્યુ કેસમાં સંસ્થા પર સવાલ થઇ રહ્યાં છે.