હત્યા અને આત્મહત્યાના કેસો સતત વધી રહ્યા છે તેવામાં ગાંધીનગરની મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરતા ચકચાર મચી છે. આત્મહત્યા અંગે કોઇ કારણ સામે આવ્યુ નથી. અગમ્ય કારણોસર મહિલા કોન્સ્ટેબલે કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવી દીધુ. મહત્વનુ છે કે પોલીસની નોકરી મેળવવા માટે લોકો દિવસ રાત એક કરીને મહેનત કરે છે. તેવામાં મહિલા કોન્સ્ટેબલે શા માટે આપઘાત કર્યો, શું કોઇને આપઘાત કરવા તેને પ્રેરી હશે આવા અનેક સવાલો ઉદભવી રહ્યા છે.
મહિલા પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત
ગાંધીનગર મહિલા કોસ્ટબલ નિશા ગુર્જરે અડાલજ પાસે ઝુંડાલ નર્મદા કેનાલમાં આત્મહત્યા કરી લીધી.નિશા ગુર્જર એલઆઈબી ફરજ બજવતા હતા. એકાએક આ બનાવ બનતા પોલીસ બેડામાં ચર્ચાનો દોર શરુ થયો છે. અહીં સવાલો પણ કેટલાક ઉદ્ભવી રહ્યા છે કે શું નિશા ગુર્જરને માનસિક રીતે હેરાન કરવામાં આવતા ? શું પોલીસ બેડામાં કોઇ સાથે વેરઝેર હતું ? કે પછી સામાજિક કે પારિવારિક કોઇ સમસ્યા હતી.? આવા અનેક સવાલોને લઇને અડાલજ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પરિવાર શોકમાં ગરકાવ
હાલમાં પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે હજી કોઇ સુસાઇડ નોટ પણ મળી આવી નથી. પરંતુ પોલીસ દ્વારા મહિલા કોન્સ્ટેબલનો મોબાઇલ ફોન કબ્જે કરીને વધુ તપાસ કરવામાં આવીરહી છે. ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. પરિવારજનોની આંખમાં આંસુ સુકાઇ નથી રહ્યા.
જૂનાગઢમાં બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ
જૂનાગઢમાં બિલ્ડરે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યુ છે. બિલ્ડરને 25 લાખથી વધારે દેવુ થઇ જતા ફિનાઇલ પીને આપઘાત કરવાનો પ્રાયસ કર્યો હતો. હાલમાં બિલ્ડરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.