રાજ્યભરમાં ઉનાળો આકરો બનતો જઈ રહ્યો છે. અને ઠેર ઠેરથી પાણીની સમસ્યાઓ સામે આવી રહી છે. ત્યારે હવે વાત છે છોટાઉધેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલા કૃષ્ણપુરા વસાહતની. જ્યાં 500થી વધુ લોકો વસવાટ કરે છે. પણ અહીં પીવાના પાણીની વિકટ સમસ્યા છે. ગામમાં જેટલા પણ હેન્ડપંપ છે. તે બંધ છે. અને એક બોર છે તે પણ લાઈટ હોય તો જ ચલાવી શકાય છે. જેથી એક માત્ર હેન્ડપંપ ચાલુ હોવાથી સમગ્ર ગ્રામજનો તેના પર ટકે છે. જોકે આ આકરા ઉનાળામાં ગામમાં જ એક પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. અને પાણીની વિકટ સમસ્યાથી ગ્રામજનો તો અવગત છે. જ જેથી મહિલાઓએ હેન્ડ પંપમાંથી પાણી ભરીને આ પરિવારને અને વરરાજાનો વટ રાખવા માટે પાણીનું દાન કર્યું છે. તમામ મહિલાએ હેન્ડ પંપથી પાણી ભર્યું. અને વરરાજાના પરિવારજનોને પાણી દાન કર્યું. જેથી લગ્ન પ્રસંગમાં આવતા મહેમાનો અને જમણવારનો પ્રસંગ સચવાઈ જાય. જ્યારે આ મામલે અમારા સંવાદદાતાએ સ્થાનિકો સાથે વાત કરી તો સ્થાનિકોની વરવી વાસ્તવીકતા સામે આવી છે. મહિલાઓનું માનીએ તો ગામમાં હેન્ડ પંપ સિવાય પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા નથી. જેથી મહિલાઓને પશુઓના પાણી પીવડાવવા માટે અનેક કિલોમીટર ચાલીને નદીમાં જવું પડે છે. જેના કારણે ખેતરના અને ઘરના કામ પણ અટકી પડે છે. ત્યારે આ કાળઝાળ ગરમીમાં ગામની મહિલાઓએ વરરાજાને પાણી દાન કરીને એક આગવું ઉદાહરણ પુરુ પાડ્યું છે.