અમદાવાદના પોશ વિસ્તાર એવા સેટેલાઈટના મહિલા કાઉન્સીલર દિપ્તી અમરકોટીયા પર દાદાગીરીનો આરોપ લાગતી અરજી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. એક વિડીયોમાં કાઉન્સીલર દિપ્તી અમરકોટીયા દાદાગીરી કરીને ગેરેજ સીલ કરાવતા નજરે પડી રહ્યાં છે.
અમદાવાદ (Ahmedabad) માં નગરસેવકોની દાદાગીરીના કિસ્સાઓ સમયાંતરે પ્રગટ થતાં રહે છે. અગાઉ કુબેરનગરના કોર્પોરેટર (corporator) કિશોર થાવાણી દ્વારા એક યુવતીને માર મારવાની ઘટના ઘટી ચૂકી છે. ત્યારે આજે ફરી વાર સેટેલાઈટના મહિલા કોર્પોરેટર દ્વારા સત્તાનો દુરુપયોગ કરાયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ત્યારે જોઈએ આ નગરસેવકો દ્વારા નગરજનોની થતી કુસેવાનો આ અહેવાલ.
નગરસેવકની દાદાગીરી વિરૂદ્ધ ફરિયાદઃ
અમદાવાદના પોશ વિસ્તાર એવા સેટેલાઈટના મહિલા કાઉન્સીલર દિપ્તી અમરકોટીયા પર દાદાગીરીનો આરોપ લાગતી અરજી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. એક વિડીયોમાં કાઉન્સીલર દિપ્તી અમરકોટીયા દાદાગીરી કરીને ગેરેજ સીલ કરાવતા નજરે પડી રહ્યાં છે. સેટેલાઈટના સત્કાર ફલેટમાં જ ગેરેજ આવેલું છે. ફલેટના ગ્રાઉન્ડ ફલોરમાં ગેરેજ હોવાથી ફાયર સેફટીનાં કારણો આગળ ધરીને કોર્પોરેટરે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે આ ગેરેજને સીલ મરાવી દીધું છે.
જેથી ગેરેજના સંચાલક ચેતન શાહે બીજેપીના કાઉન્સિલર દિપ્તી અમરકોટીયા અને મ્યુનિસપલ કોર્પોરેશનની મીલીભગતનો આક્ષેપ કરીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. બીજેપીના મહિલા કાઉન્સીલર દિપ્તીબેન પર ગેરેજ સંચાલકે દાદાગીરી કરવાના પણ આક્ષેપો લગાવ્યા છે. ગેરેજ સંચાલકને કાઉન્સિલર દ્વારા ધમકી આપવા અને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપો અરજીમાં કરવામા આવ્યાં છે.
ગેરેજ સંચાલકની દલીલ છે કે ગેરેજ ફાયર સેફ્ટીના નિયોમો હેઠળ આવતું નથી. વળી આ જગ્યા સરકાર તરફથી કોમર્શિયલ યુઝ માટે એપ્રુવ થયેલી છે. તો પણ કોમર્શિયલ યુઝ કરતાં અમને અટકાવવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં કોર્પોરેટર દીપ્તીબેન દ્વારા ગેરેજ આગળ બેસવાના બાંકડા મૂકીને અંતરાય ઊભો કરવામાં આવ્યો છે. આ રીતે એક નગર સેવક દ્વારા નગરજનને પરેશાન કરવામાં આવી રહેલ છે.
આક્ષેપોને લઇ લુલો બચાવઃ
કાઉન્સિલર દીપ્તીબેન પર આક્ષેપ થયાં તો તેમણે આ બાબતને જનતાની સેવા ગણાવી. તેમને પહેલાં તો આ આક્ષેપોને પાયા વિહોણાં ગણાવ્યા અને ગેરેજ સંચાલક પર જ ગેરકાયદેસર બિલ્ડર પાસેથી જગ્યા મેળવી ગેરેજ શરૂ કરવાનો આક્ષેપ કરી દીધો એટલું જ નહીં. તેઓ પોતે જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ હોવાનું કહીને જનતાની સુરક્ષા માટે આ પગલું ભર્યું હોવાનું રટણ ચાલું રાખ્યું.
અગાઉ કુબેરનગરના કાઉન્સીલર કિશોર થવાણીએ ગેરકાયદે પાણીના કનેકશનને લઈને એક યુવાનને જાહેરમાં માર માર્યો હતો. જ્યારે સેટેલાઈટની મહિલા કાઉન્સિલરે દાદાગીરીથી ગેરેજને સીલ લગાવ્યું હોવાનો વિડીયો ફરી ટોક ઓફ ટાઉન બન્યો છે. નગરસેવક જ જો દાદાગીરી કરશે તો પછી નાગરિકો નગરસેવકો મદદની આશા ક્યાં રાખશે? તે એક સવાલ છે. પરંતુ સેટેલાઈટના કિસ્સામાં કાઉન્સીલર અને ગેરેજના વિવાદમાં કોણ સાચુ કોણ ખોટું તે તો હવે તપાસ બાદ જ સામે આવશે.