ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ પણ મનપા જાણે કે ઢીલાશ દાખવતું હોય તેમ દેખાઇ રહ્યું છે. કારણ કે વડોદરામાં રખડતા ઢોરના લીધે મહિલાના ગર્ભમાં રહેલા બાળકનું મોત નિપજ્યું છે.
ગુજરાતમાં હજુ પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત
વડોદરામાં મહિલાના ગર્ભમાં રહેલું બાળકનું મોત
તંત્રએ ઢોર માલિકો સમજતા નથી કહીને હાથ અદ્ધર કરી દીધા
ગુજરાતમાં હજુ પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના સલાટવાડા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સલાટવાડાની હનુમાનજી ગલીમાં એક ગર્ભવતી મહિલાને રખડતા પશુએ અડફેટમાં લેતા ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ નિપજ્યું છે.
કોર્પોરેશન ઢોર માલિકોને સમજાવે છે પરંતુ સમજતા જ નથી: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
તમને જણાવી દઇએ કે, ગઇકાલે બપોરે બાળકના વાળ કપાવવા જતી વખતે ગાયે ગર્ભવતી મહિલા (મનીષા ચોબે) ને અડફેટમાં લેતા ગર્ભમાં રહેલું બાળકનું મોત થયું છે. આથી, સમગ્ર વિસ્તારમાં તેમજ પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ છે. જો કે, તમને જણાવી દઇએ કે, મહિલા સાથે તેના બે બાળકોને પણ ગાયે અડફેટમાં લીધા હતા. ત્યારે આ મામલે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલનું કહેવું છે કે, 'આ ઘટના ખૂબ દુઃખદ છે. ઢોર માલિક સામે કાર્યવાહી કરાશે. કોર્પોરેશન ઢોર માલિકોને સમજાવે છે પરંતુ ઢોર માલિકો સમજવા તૈયાર નથી. હાલમાં ઢોર પાર્ટીની ટીમ રોજ ઢોર પકડવાની કામગીરી કરી રહી છે.
વધુમાં આ ઘટના અંગે બાળકનું કહેવું છે કે, 'મારી મમ્મીએ મને બચાવ્યો, ગાયે એમને અડફેટે લીધા. મારી મમ્મી હમણાં હોસ્પિટલમાં દાખલ છે.' આ મામલે ઇજાગ્રસ્ત મનીષાની બહેન સુનીતાબેને નિવેદન આપતા જણાવ્યું કે, 'ગાયે મારી બહેન અને બાળકોને અડફેટમાં લીધા છે. અમારા વિસ્તારમાં ગાયનો ખૂબ ત્રાસ છે. ગાયની સમસ્યાનું નિરાકરણ લાવો. સરકારે પશુ નિયંત્રણ અધિનિયમ કાયદો રદ ન કરવો જોઈએ. અમારી સુરક્ષા સરકારની જવાબદારી છે.'
સળગતા સવાલ
રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ ક્યારે?
ગર્ભસ્થ બાળકનું મૃત્યુ થયું તો પણ પેટનું પાણી હલતું નથી?
વડોદરા મહાપાલિકા દુ:ખ વ્યકત કરીને સંતોષ માની લેશે?
એક મા ઉપર શું વીતી હશે કે જ્યારે ગર્ભસ્થ શિશુના મૃત્યુની વાત સાંભળી હશે?
વડોદરા મહાપાલિકા આટલી નિંભર કેમ?
ઢોર માલિકો સમજતા નથી એમ કહીને હાથ અદ્ધર કરી દેવાના?
ઢોર માલિક નહીં સમજે તો પાલિકા તરીકે તમારી કોઈ જવાબદારી નથી?