કાંકરેજના માંડલામાં ખેતરમાં રહેતા ચૌધરી પરિવારમાં અઢી વર્ષ પહેલા પરણાવેલી આદિવાસી મહિલાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દેવાતા ચકચાર મચી છે. ઘરની નજીક ખેતરમાં ગળું કપાયેલી હાલતમાં મહિલાની લાશ મળતા પોલીસને જાણ કરાઈ હતી. ઉપરાંત એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી લોહીના નમૂના લીધા હતા. મૃતકની ફઈએ હત્યાની ફરિયાદ નોંધાવતા થરાની હોસ્પિટલમાં વિડીયોગ્રાફી સાથે પેનલ પીએમ કરાવાયું હતું.
માંડલામાં મંગળવારે વહેલી સવારે ઊર્મિલાની લાશ ખેતર નજીક લોહીથી લથબથ હાલતમાં જોવા મળતા ચૌધરી પરિવારે પોલીસને જાણ કરી હતી. દરિમયાન રાધનપુર નજીક કામલપુર ગામમાં રહેતા મૃતકના ફઈ ઉમિયાબહેન ઠાકોર ઘટના સ્થળે પહોંચી ભત્રીજીની હત્યા કરાઈ હોવાની આશંકા જતાવી લાશ ઉઠાવવાનો ઇનકાર કરતા પોલીસ બેડામાં દોડધામ મચી હતી.
બાદમાં મોડી સાંજે વીડિયોગ્રાફર આવી જતા થરા હોસ્પિટલના તબીબ એ. એસ.ગૌસ્વામી અને ડૉ. અન્સારીએ પીએમ કર્યું. સમગ્ર ઘટના અંગેની વિગતો આપતા થરા પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે "નરસિંહભાઈ ચૌધરી (ઉ.વ 30)ના અઢી વર્ષ અગાઉ સાબરકાંઠાના પોશીના તાલુકાના દંત્રાલ ગામની ઊર્મિલા સાથે અઢી વર્ષ અગાઉ લગ્ન થયા હતાં. જેનાથી તેને દોઢ વર્ષની દીકરી પણ છે.
દરમિયાન મંગળવારે સવારે પોલીસ મથકે મૃતકના જેઠે રૂબરૂ આવી હિંસક પ્રાણી દ્વારા હુમલો કરી મોત નિપજાવયાનું જણાવતા ડીવાયએસપી પીએચ ચૌધરી અને પીએસઆઇ એમ જી ચૌધરી સહિત સ્ટાફ એફ.એસ.એલ.ની ટીમને લઇ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઘટના સ્થળેથી લોહીના નમૂના લેવાયા છે. કોઈ શંકાસ્પદ હથિયાર મળી આવ્યું નથી. આ મામલે હત્યાનો ગુનો દેવાયો છે અને તપાસ ચાલુ છે.