શહેરના ઓઢવ વિસ્તારમાં આજે વહેલી સવારે એક પરિણીતાએ રિવોલ્વરથી લમણામાં ગોળી મારીને આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પરિણીતાની આત્મહત્યાનું કારણ હજુ સુધી અકબંધ છે, પરંતુ સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાની ચર્ચા લોકોમાં છે.
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ઓઢવ રીંગરોડ પર આવેલ શ્રેયા રેસિડન્સીમાં ૩૮ વર્ષીય અનીતા તેનાં ત્રણ બાળકો અને પતિ અિમતસિંગ વર્મા સાથે રહે છે. અિમતસિંગની વાપીમાં નોકરી હોવાથી હાલ તે ત્યાં રહે છે. અનીતાનાં ૧પ વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં. આજે વહેલી સવારે અનીતાએ લમણામાં રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.
ફાયરિંગનો અવાજ સાંભળતાંની સાથે જ અડોશપડોશના લોકો ભેગા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. અનીતાનાં બાળકો સૂતાં હતાં ત્યારે તેણે આ અંતિમ પગલું ભર્યું હતું.
ઘટનાની જાણ પોલીસને થતાં તે તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અનીતાએ રિવોલ્વરથી લમણામાં ગોળી મારીને આત્મહત્યા કરી છે. પોલીસે અડોશપડોશના લોકોની પણ પૂછપરછ કરી હતી, જેમાં અનીતા બીમાર હોવાનું જાણવા મળ્યું હતું.
ઘટનાની જાણ એફએસએલને થતાં તે પણ સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે અનીતાની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે જ્યારે આત્મહત્યાનું સાચું કારણ જાણવા માટે તપાસ શરૂ કરાઇ છે. આ મામલે ઝોન-પના ડીસીપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું છે કે અનીતાના મોતનું કારણ હજુ સુધી અકબંધ છે ત્યારે તેણે કયા કારણસર આત્મહત્યા કરી તે મામલે તપાસ શરૂ કરાઈ છે.
જ્યારે અનીતા પાસેથી રિવોલ્વર મળી છે તે લાઇસન્સવાળી છે કે પછી બે નંબરમાં ખરીદી છે તેની પણ તપાસ કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો કોઇ મહિલાએ લમણામાં રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી હોય તેવો કદાચ શહેરમાં આ પહેલો બનાવ છે.